કેશલેસ શિક્ષણ કેમ્પસ વિકસાવવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા અપીલ
એક તરફ સમગ્ર દેશ જયારે ડિજિટલ અર્થતંત્ર તરફ વળી રહ્યુ છે ત્યારે ટેક્નોલોજીના અનુસંધાનમાં નાણાકીય ડિજિટલ સાક્ષરતા ને પણ ધ્યાનમાં લેતા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કેશલેસ કેમ્પસ વિકસાવવા માટેની અપીલ કરી છે.
"વિત્તીય સાક્ષરતા અભિયાન" (VISAKA) અંતર્ગત મંત્રીએ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને પોતાની આસપાસના લોકોને કેશલેસ સિસ્ટમ વાપરવા તેમજ ડિજિટલ ફંડ ટ્રાન્સફર અંગેની જાગૃતિ લાવવા તેમજ લોકોને આ માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યુ હતુ.
જાવડેકરે તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જણાવ્યુ હતુ કે દેશ આજે ડિજિટલાઇઝેશન તરફ વધી રહ્યો છે જેથી વધુ પારદર્શકતા આવશે તેમજ કાળા નાણાં અને ભ્રષ્ટાચાર નાબૂદ થશે. તથા યુવાઓને માત્ર આ પરિવર્તન ના સાક્ષી ન રહેતા આ પરિવર્તનનો એક સક્રિય ભાગ બનીને દેશને ડિજિટલ અર્થતંત્ર અને નાણાકીય ડિજિટલ સાક્ષરતા તરફ આગળ વધારવા અનુરોધ કર્યો હતો.
આ સાથે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફી , થાપાણો , દંડ , પગાર , અન્ય ખર્ચા , વગેરે જેવી બાબતોમાં રોકડ રકમને બદલે કેશલેસ સિસ્ટમ અપનાવીને કેશલેસ શિક્ષણ કેમ્પસ વિકસાવવા અપીલ કરી હતી.
VISAKA દ્વારા પ્રથમ દેશમાં મોટા પાયા પર રોકડ વ્યવહાર કરતા 500 શહેરોમાં અભિયાન શરુ કરવામાં આવશે જેમાં શૈક્ષણિક સંસ્થાઓ આ રુપાંતરમાં એન્જીનનું કામ કરશે.
આ ઝુંબેશમાં દેશની મોટી શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે IITs, NITs, IIITs, અને સેન્ટ્રલ યુનિવર્સિટી તથા કોલેજો જોડાશે જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ બધા પોતાના રોજિંદા જીવનમાં પરિવર્તન લાવીને કેશલેસ વ્યવહારનું વાતાવરણ ઉભુ કરવા તરફ પ્રયાસ કરશે.
આ રાષ્ટ્રીય પરિવર્તનની ઝુંબેશમાં લગભગ દેશની 36000 શૈક્ષણિક સંસ્થાઓ જોડાશે એવુ તેમને જણાવ્યુ હતુ.