ગુજરાતનાં આ શહેરમાં છે પાણી સંગ્રહના 100 વર્ષ જૂના ભૂગર્ભ કૂવા, બાંધકામનાં છે ઉત્તમ નમૂના
ભરૂચ શહેરને વર્ષો પૂર્વે પારસીઓએ પોતાના વેપાર માટે પસંદગી કરી હતી. ત્યારે અંદાજે 100 વર્ષ પૂર્વે ભરૂચ આવીને વસેલા પારસી સમુદાયે પોતાના ઘરમાં જ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે અનોખી પદ્ધતિ અપવાની હતી. જેમાં ઘર બનાવતાં પહેલાં જ અંડરગ્રાઉન્ડ કૂવાનું નિર્માણ કરવામાં આવતુ. જેને પ્લાનિંગ સાથેનું સ્ટ્રક્ચર ગણાવી શકાય. આ પાણીના કૂવાઓ આજેપણ યથાસ્થિતિમાં સચવાયેલા છે અને લોકો આજેપણ આ કૂવાના પાણીનો સારીપેઠે ઉપયોગ કરી રહ્યા છે.
હાલનાં સમયમાં રાજ્યમાં પાણીની અછત સર્જાતાં રાજ્ય સરકાર દ્વારા આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેવી યોજનાઓ શરૂ કરી છે. પાણીની અછત વચ્ચે પણ હાલમાં નદી-તળાવો ઉંડા કરવાની કામગીરીના ભાગરૂપે સૂજલામ સૂફલામ જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ વર્ષો પૂર્વે (અંદાજે 100 વર્ષ) પારીઓ જ્યારે ભરૂચમાં આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલાં ઘરવપરાશના પાણીની સુવિધા બનાવી હતી. ભરૂચ શહેરમાં આજે પણ પારસીવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં 15થી 20 અંડરગ્રાઉ્ડ કૂવા ચાલુ હાલતમાં છે. આર્કિયોલોજીકલી સિસ્ટમેટિક રીતે બનાવવામાં આવેલા કૂવા પ્લાનિંગ સાથે બનાવવામાં આવ્યા હતા. જેને સ્થાપત્યનાં બેનમૂન નમૂના ગણાવીએ તો કંઈ જ ખોટૂં નથી. કારણકે આજે પણ એ કૂવાઓને ભૂકંપ શૂધ્ધાંની અસર થતી નથી.
બૂગર્ભ કૂવાઓનું બાંધકામ એવી રીતે કરવામાં આવતું કે તેમાં પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય. પાણીની શુધ્ધતા અને શીતળતા જળવાઈ રહે તે માટે તાંબા-પિત્તળનું પડ પણ તેમાં રાખવામાં આવતું હતુ. જેના કારણે આજે પણ આ કૂવાઓ ઘરોમાં સચવાયેલા જોવા મળે છે. એક-બે દિવસ નગર પાલિકા દ્વારા પાણી આપવામાં ન આવે તો પણ આ વર્ષો જૂના કૂવા ધરાવતા પરિવારોને પાણીની કોઈ તકલીફ નડતી નથી. આજે પણ આ કૂવાઓ પરિવારો અને આસપાસનાં લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ફળિયામાં પણ કોઈ પ્રસંગ કરવો હોય તો લોકો આ વરસાદી પાણી આધારિત કૂવાઓમાંથી પાણીનો ઉપયોગ કરે છે.
સ્થાનિક અગ્રણી મોહસિન બોમ્બેવાલાએ જણાવ્યું હતું કે, પારસી લોકો દ્વારા પોતાનું ઘર બનાવતાં પહેલાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ કૂવો બનાવવામાં આવતો હતો. જે કૂવો એટલો સિસ્ટેમેટિક બનાવાતો કે તેમાં આખું વર્ષ પાણીનો સંગ્રહ થઈ શકે. ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ આ કૂવાઓનું કામકાજ ખૂબ જ પ્રસંશનિય છે