સુદાનની સિરામિક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં લુણાવાડાના કોલવણ ગામના રહીશનું થયું મોત
આફ્રિકા ખંડમાં આવેલા સુદાન
દેશમાં એક સિરામિક કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 18 ભારતીયોના મોત થયાં છે, જેમાં એક મૃતક લુણાવાડા તાલુકાના કોલવણ ગામના હોવાની વિગતો સપાટી પર આવી
છે. મૃતકના પરિવારે તેમના મૃતદેહને વતનમાં લાવવામાં આવે તેવી માંગ કરી છે.
મંગળવારે સુદાનમાં એક સિરામિક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં કોલવણ ગામના બહાદુરભાઈ સોમાભાઈ પગીએ પણ જીવ ગુમાવી દીધો છે. તેઓ ફેકટરીમાં રસોઇયા તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતાં તેમના પરિવારજનો શોકમગ્ન બની ગયાં છે. તેઓ મૃતદેહને વતનમાં લાવવામાં આવે તેવી માંગણી કરી છે. સાંસદ રતનસિંહ રાઠોડે વિદેશમંત્રી એસ. જયશંકરને મૃતકનો મૃતદેહ અંતિમક્રિયા માટે ભારત પરત લાવવામાં આવે તે માટે રજૂઆત કરી છે. મૃતક પહેલા પ્રાંતિજ ખાતે રસોઈયા તરીકે કોઈ હોસ્ટેલમાં કામ કરતા હતા અને ત્યાંથી રોજગારી માટે સુદાન ગયા હતા. તેઓ પાંચ મહિના પહેલાં જ વતનમાં આવ્યા હતા અને બાદમાં ફરીથી સુદાન ચાલ્યા ગયા હતા. બ્લાસ્ટના બે દિવસ પહેલા જ તેમણે પત્ની સાથે ફોન પર વાત કરી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતકના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. હાલ તો તેમના પરિવારજનો મૃતદેહ ભારતમાં આવે તેની રાહ જોઇ સરકાર પાસે અપેક્ષા રાખીને બેઠા છે.