દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ લોકો થયા સંક્રમિત; છેલ્લા 24 કલાકમાં 3.57 લાખ નવા કેસ
કોરોના વાયરસના ખૂબ આક્રમક સ્વરૂપથી દેશભરમાં કોરોના બેકાબૂ બન્યો છે. ભારતમાં સતત સાતમા દિવસે સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 357,229 નવા કોરોના કેસ આવ્યા છે અને 3449 સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 3,20,289 દર્દીઓ સાજા પણ થયા છે. આ પહેલા રવિવારે દેશમાં 368,060 નવા કેસ નોંધાયા હતા. વિશ્વભરમાં દરરોજના આશરે 40 ટકા કેસ ભારતમાં નોંધાય છે.
3 મે સુધી દેશભરમાં 15 કરોડ 89 લાખ 32 હજાર 921 કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. પાછલા દિવસે 17 લાખ 08 હજાર 390 રસી આપવામાં આવી હતી. જ્યારે 29 કરોડ 33 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ગયા દિવસે 16.63 લાખ કોરોના નમૂનાના પરીક્ષણો લેવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 21 ટકાથી વધુ છે.
સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના નવા 48,621 કેસ નોંધાયા હતા, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 47,71,022 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં, છેલ્લા 30 દિવસના ગાળામાં પ્રથમ વખત સોમવારે એક જ દિવસે નવા કેસની સંખ્યા 50,0000ની નીચે નોંધાઈ છે. રાજ્યમાં કોવિડના વધુ 567 દર્દીઓનાં મોત પછી મૃત્યુઆંક વધીને 70,851 પર પહોંચી છે.
મહારાષ્ટ્રમાં એપ્રિલમાં મોટાભાગના દિવસોમાં સંક્રમણના નવા કેસો 60,000ની આસપાસ હોવાનું નોંધાયું છે. સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 5 એપ્રિલથી લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દીધા હતા, જેનો વધારો 15 મે સુધી કરવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન, રાજધાની દિલ્હીમાં કોવિડથી 448 મૃત્યુ નોંધાયા હતા, જ્યારે આ સમયગાળા દરમિયાન 18,043 નવા કેસ નોંધાયા હતા, જે 15 એપ્રિલ પછીનો સૌથી ઓછો આંકડો છે. સંક્રમણ દર 29.56 ટકા નોંધાયો હતો. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના મહામારીથી મૃત્યુઆંક 400 ને વટાવી રહ્યો છે. રવિવારે રાજધાનીમાં 61,045 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 18,043 પોઝિટિવ આવ્યા હતાં. 15 એપ્રિલ પછીનો આ સૌથી નીચો આંકડો છે.
દેશમાં કોરોના મૃત્યુ દર 1.10 ટકા છે જ્યારે રિકવરી રેટ 82 ટકાથી ઓછો છે. સક્રિય કેસ વધીને 17 ટકાથી વધુ છે. કોરોના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં બીજા નંબર પર છે. સંક્રમિત લોકોની કુલ સંખ્યાના સંદર્ભમાં પણ ભારત બીજા ક્રમે છે. જ્યારે યુએસએ, બ્રાઝિલ અને મેક્સિકો બાદ વિશ્વમાં સૌથી વધુ મોત ભારતમાં થયા છે.