ભરૂચ આર એસ દલાલ શાળાને મૃતપાય અવસ્થા માંથી બેઠી કરવા માટે નર્મદા એજ્યુ.એન્ડ વેલ્ફેર ટ્રસ્ટે હાઇકોર્ટનાં ધ્વાર ખટખટાવ્યા
ભરૂચ શહેરમાં આવેલી 168 વર્ષ જૂની પ્રતિષ્ઠિત શાળા આર.એસ. દલાલ કે જેની સ્થાપના ઈ.સ.1849માં એક પારસી સદ્દગૃહસ્થ રુસ્તમજી સોરાબજી દલાલે આઝાદી પૂર્વે તે સમયનાં ભવ્યસ્થળ એવા ફુરજા ઉપર બનાવી, એક ટ્રસ્ટની સ્થાપના કરી, લાંબા સમય સંચાલન કર્યુ હોવાનું જગ જાહેર છે. જોકે કાળક્રમે ટ્રસ્ટનું શું થયું? એ આજે પણ ના તો સબરજિસ્ટ્રાર ઓફિસ માંથી મળે છે ના સીટી સર્વેનાં સરકારી દફ્તરે. જ્યારે શાળાનું શિક્ષણ અને પરિણામ કથળતા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શાળાનું સંચાલન હાથમાં લઈને શાળાને પુનઃ ધબકતી કરવા માટેનાં પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે.
ભરૂચ નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આર એસ દલાલ સ્કૂલનાં સ્થળાંતર અંગેની ઉભી થયેલી ગૂંચ સંદર્ભે માહિતી આપવા માટે ભરૂચ શહેરનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ટ્રસ્ટનાં ટ્રસ્ટી નરેશભાઈ ઠક્કર, હરીશભાઈ જોષી, ધનજીભાઈ પરમાર દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી.
જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે એક સમયે બે બે પાળીમાં ચાલતી આ ઐતિહાસિક આર.એસ. દલાલ શાળામાં આર્ટસ અને કોમર્સનાં બે થી ત્રણ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. વિજ્ઞાન પ્રવાહ માટે તો એ સમયે આ એકમાત્ર શાળા અમલમાં હતી. પરંતુ 1980 બાદ આ શાળા સંપૂર્ણ રીતે રાજ્ય સરકારનાં શિક્ષણવિભાગનાં તાબા હેઠળ હોઈ ક્રમશ: એની શિક્ષણની ગુણવત્તા એ વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. વારંવાર શાળાનાં સ્થળાંતરની માંગણી અવગણતા આ સંસ્થાનું ધોરણ 10, ધોરણ 11 તથા ધોરણ 12નું પરિણામ શૂન્ય થી લઇ 10 થી 20 ટકા પહોંચ્યુ છે.
આર એસ દલાલ શાળાનું શિક્ષકનું સ્તર સુધરે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેવા આશય સાથે શાળાનાં જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં એક ટ્રસ્ટ નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શાળાનો વહીવટ હસ્તગત કરવા, સરકારના નીતિ નિયમો પ્રમાણે પ્રક્રિયા હાથ ધરાઈ હતી.શૂન્ય ટકાનું પરિણામ અને 100 થી પણ ઓછા વિદ્યાર્થીઓની કરુણ રકાસ જેવી સ્થિતિએ આ શાળાને પુનઃ ગૌરાવિંત કરવાની ટ્રસ્ટની દરખાસ્ત સરકારે એકાએક 2015માં શૈક્ષણિક સત્ર શરૂ થવાનાં 10 દિવસ પૂર્વે સ્વીકારી, જૂન 2015માં નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટને 27 જેટલી શરતો એ એગ્રીમેન્ટ કરી સોંપવામાં આવી હતી.
જોકે નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શાળાને પુનઃ ધમધમતી કરવાના યથાગ પ્રયત્નો કરીને શાળાને હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સીફ્ટ કરવા માટેની માંગ કરવામાં આવી હતી, પરંતુ રાજકીય હસ્તક્ષેપનાં કારણે આજદિન સુધી શાળાનાં ડેવલોપમેન્ટ માટે કોઈજ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી, અને આખા મામલાને ગુજરાત હાઇકોર્ટ સુધી લઇ જવામાં આવ્યો છે. અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં રીટપીટીશન દાખલ કરીને સરકાર દ્વારા શાળાને મૃતપાય અવસ્થા માંથી બેઠી કરવા માટે પૂરતો સહકાર આપવામાં આવે અથવા તો સંચાલન પરત લઈલે તેવી રજૂઆતો પણ કરવામાં આવી છે.