ભરૂચ નગર સેવા સદન ખાતે જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપના નગરસેવકો માસ્ક પહેરીને તો આવ્યાં હતાં પણ સામાજીક અંતર જાળવવાનું ભુલી ગયાં હતાં.
ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોદરિયાની વરણી કરવામાં આવી છે. તેઓ ભરૂચ નગર પાલિકાના સભ્ય પણ હોવાથી શુક્રવારના રોજ નગરપાલિકા કચેરી ખાતે તેમનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલા સહિતના સભ્યોએ નવા પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં પાલિકાના સભ્યો માસ્ક પહેરીને તો આવ્યાં હતાં પણ વડાપ્રધાને આપેલાં દો ગજ કી દુરીના સુત્રને ભુલી ગયાં હતાં.
નવા પ્રમુખના સન્માનમાં સામાજીક અંતર ન જળવાતા કોવીડની ગાઇડ લાઇનનો ભંગ થયો હતો. આ બાબતે વિપક્ષના નેતા શમશાદઅલી સૈયદે જણાવ્યુ હતું કે, શાસકો કોરોનાનું બહાનું બતાવી એક માસથી સામાન્ય સભા નથી બોલાવતા અને ભાજપના જિલ્લા પ્રમુખનો સન્માન સમારોહ યોજે છે જેમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ નથી જળવાતું.શાસકોને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કોઈ જ રસ નથી તેમ લાગી રહયું છે.