અમદાવાદ : કોરોનાના દર્દીનું મોત થતાં પરિજનોએ ખાનગી હોસ્પિટલમાં કરી તોડફોડ
અમદાવાદ શહેરના ચાંદખેડામાં આવેલ એક ખાનગી કોવિડ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે દર્દીના પરિવારજનો અને સગા-સંબંધીઓએ તોડફોડ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મામલો શાંત પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, દાણીલીમડાના રહેવાસી અમિત કાપડિયાને કોરોના પોઝિટિવ આવતા તેમને ચાંદખેડા બસ સ્ટેન્ડ નજીક આવેલ ટીએલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 2 દિવસથી તેમની તબિયત સુધારા પર હતી અને તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા, ત્યારે ગત મંગળવારના રોજ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે તેવું પરિવારજનોને કહેવામાં આવ્યું હતું. તેથી પરિવારના સભ્યો જ્યારે અમિતને લેવા હોસ્પિટલ પહોચ્યા ત્યારે હોસ્પિટલ તંત્રએ અમિતનું અવસાન થયું છે તેવું જણાવતા પરિવારના સભ્યો રોષે ભરાયા હતા.
આથી પરિવારના સભ્યોએ ઉશ્કેરાઈ જઈ ડોક્ટરો, નર્સો સહિતના સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો. જેમાં અમિતના પરિવારના સભ્યોએ હોસ્પિટલના કાચ, ખુરશી-ટેબલ તોડી નાખ્યા હતા. બનાવની જાણ થતા જ ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે હોસ્પિટલમાં આવીને સૌથી પહેલાં મામલો શાંત પાડ્યો હતો. પોલીસે પરિવારના સભ્યોના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે.