અમદાવાદ: ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોને જન્મદિવસ અને મેરેજ એનિવર્સરીની ઉજવણી આંગણવાડીમાં કરવી પડશે
અમદાવાદ શહેરમાં કોઈ બાળક કુપોષિત ન રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી
કુપોષણ મુક્ત ભારત અંતર્ગત અમદાવાદ શહેરમાં કોઈ બાળક કુપોષિત ન રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી છે. અમદાવાદના ભાજપ-કોંગ્રેસના તમામ કોર્પોરેટરોને તેમના કુટુંબમાં જન્મ દિવસ તેમજ મેરેજ એનિવર્સરી જેવા પ્રસંગોમાં આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ-પૌષ્ટિક આહાર આપવા માટે જણાવવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ કમિટિના ચેરમેન પ્રતિભા જૈન દ્વારા આ માટે તમામ કોર્પોરેટરોને પત્ર લખી જાણ કરવામાં આવી છે. આ રીતે કુપોષણ મુક્ત ભારત અભિયાનને આગળ વધારી શકાય.
મહિલા અને બાળ વિકાસ કમિટિના ચેરમેન પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, તમામ કોર્પોરેટરોને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે કુપોષણ મુક્ત ભારત અંતર્ગત કોઈ પણ બાળક કુપોષિત ન રહે તેના માટે શહેરમાં આવેલા આંગણવાડીમાં કેન્દ્રોમાં આપના તેમજ આપના કુટુંબમાં જન્મદિવસ, મેરેજ એનિવર્સરી અને મરણતિથિના દિવસે બાળકોને ફળ વિતરણ અને પૌષ્ટીક આહારનું વિતરણ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે. જેથી નાના ભૂલકાઓને બાળકોને પોષણ મળી રહે અને કુપોષણને દૂર કરી શકાય જેથી કાઉન્સિલરને આ કામમાં જોડાવા માટે પત્ર લખવામાં આવ્યો છે.