/connect-gujarat/media/post_banners/ba8159a10033e02f24b708dc25bf0d80a82ba06df1eef9eeff50dfdc9de65429.jpg)
છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ થલતેજ ચાર રસ્તાથી થલતેજ ગામ તરફ જવાનો માર્ગ બંધ થઈ જતાં સ્થાનિકો સહિતના વેપારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
રાજ્યનું સૌથી મોટું મહાનગર અમદાવાદ સ્માર્ટ સીટી તરીકે આગળ વધી રહ્યું છે, ત્યારે શહેરમાં BRTS પ્રોજેક્ટ પણ કાર્યરત છે. છતાં શહેરમાં ટ્રાફિક સમસ્યા યથાવત રહેતા મેટ્રો રેલ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ મેટ્રો રેલ પ્રોજેક્ટ ટોટલ 37 કિલોમીટરનો છે, અને 15000 કરોડથી વધારે તેની પાછળ ખર્ચો કરવામાં આવશે. મેટ્રો રેલ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળી ગાંધીનગર પોંહચશે. આ પ્રોજેક્ટમાં કુલ 22 સ્ટેશનોને આવરી લેવાં આવશે. હાલ મેટ્રો રેલનું કામ અંતિમ તબક્કામાં છે, ત્યારે શહેરના થલતેજ વિસ્તારમાં મેટ્રોની કામગીરી સામે ભારે વિરોધ ફાટી નીકળ્યો છે.
અમદાવાદના થલતેજ ગામના વેપારીઓએ મેટ્રો રેલ પ્રોજેક્ટના કામનો વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી મેટ્રોનું કામ ચાલુ હોવાના કારણે 400 જેટલા વેપારીઓ બેરોજગાર થયા છે. વેપારીઓએ અગાઉ પણ આ મામલે અધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે, આ મેટ્રો જે રસ્તે નીકળે છે તે બદલવા માટે સ્થાનિકોએ માંગ કરી છે. આ સાથે છેલ્લા ઘણા સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. જેથી હવે સરકાર દ્વારા વળતર સહાય ચૂકવવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરાય છે.