અમદાવાદ શહેરમાં આજરોજ અષાઢી બીજના દિવસે 147મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામની નગરચર્ચાને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રસ્થાન કરવામાં આવી હતી.
આજરોજ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા. રથયાત્રા એક એવો ઉત્સવ છે કે, જેમાં ભક્તિ, ખુશાલીની સાથે શારીરિક બળ પણ ઉમેરાય છે.
અખાડાના કરતબ રથયાત્રામાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે, ત્યારે આ વર્ષે પણ રથયાત્રામાં 30 અખાડા જોડાયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટેબલો ટ્રક અને 18 ભજન મંડળીઓ જોડાય છે. સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12,600 પોલીસ સહિત 23,600 જવાનોની નજર હેઠળ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે, ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે. આ સાથે જ રાજ્યના અન્ય શહેરોમાંથી પણ અમદાવાદની રથયાત્રા નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા છે. “જય રણછોડ”ના નાદ સાથે રથયાત્રા શહેરભરમાં નીકળતા ભાવિકોમાં પણ જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.