ગુજરાતમાં "ગ્રેડ-પે" આંદોલનની અસર, 9 પોલીસકર્મીઓની તાત્કાલિક બદલી...
આ આંદોલનમાં સક્રિય ભાગ લેનારા અમદાવાદ પોલીસ દળમાં ફરજ બજાવતા 9 પોલીસ કર્મચારીની જિલ્લા બહાર બદલીના આદેશ અપાયા
પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે મુદ્દે તાજેતરમાં શરૂ થયેલા આંદોલનને ખાળવા માટે પોલીસ કમિટી રચવામાં આવ્યા બાદ આંદોલન સમેટાઈ ગયું હતું. જોકે, આ આંદોલનમાં સક્રિય ભાગ લેનારા અમદાવાદ પોલીસ દળમાં ફરજ બજાવતા 9 પોલીસ કર્મચારીની તાત્કાલિક અસરથી જિલ્લા બહાર બદલીના આદેશ અપાયા છે.
અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર(વહીવટ) દ્વારા સોમવારે મોડી સાંજે એક આદેશ જારી કરાયો હતો. જેમાં અમદાવાદમાં ફરજ બજાવતા મહિલા અને પુરુષ મળી કુલ 9 પોલીસ કર્મચારીઓને મુખ્ય પોલીસ અધિકારીના હુકમથી તાત્કાલિક અસરથી જાહેરહિતમાં બદલી કરવાનું જણાવાયું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિજય બાબુભાઈની કે. કંપનીમાંથી પોરબંદર, હેડ કોન્સ્ટેબલ, હાર્દિક દુર્ગાશંકર પંડ્યાની બાપુનગરથી જૂનાગઢ, કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર બેચરભાઈની બાપુનગરથી કચ્છ પશ્ચિમ ભુજ, લોકરક્ષક મુકેશભાઈ હરલાભાઈની એન ટ્રાફિક પોલીસ સ્ટેશનથી કચ્છ પૂર્વ ગાંધીધામ, હેડ કોન્સ્ટેબલ મનોજ કાંતિલાલની એસજી 01થી તાપી ખાતે બદલી કરવામાં આવી હતી. ઉપરાંત મહિલા લોકરક્ષક રોશની રાજેશભાઈની એલ ટ્રાફિક પોલીસ સ્ટેશનથી દાહોદ, કોન્સ્ટેબલ વિક્રમજી સેનજીની કે. કંપનીથી અમરેલી, મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞાબેન પ્રવીણકુમાર ઠાકોરની આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનથી નવસારી અને મહિલા કોન્સ્ટેબલ નીલમ ડાહ્યાભાઈની કે. કંપની ખાતેથી ભાવનગર બદલી કરવામાં આવી છે.