ભરૂચ : સિવિલ હોસ્પિટલમાંથી કેદીઓ ભાગવાના પ્રકરણમાં ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ

Update: 2020-09-10 14:47 GMT

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલાં કાચા કામના બે કેદીઓ ફરાર થઇ જવાની ઘટનામાં જિલ્લા પોલીસવડાએ ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આથાડુંગરી ગામના નિશાળ ફળિયામાં રહેતો 22 વર્ષીય અર્જુન ઉર્ફે અજ્જુ જયંતિ પરમાર 3 મહિનાથી ભરૂચ સબ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો. તેને 3 સપ્ટેમ્બરના રોજ સતત તાવ રહેતો હોવાથી  તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભરૂચના તાડીયા ગામના મંદિરવાળા ફળીયામાં રહેતો આકાશ સંજય વસાવા છેલ્લા 4 મહિનાથી કાચા કામના કેદી તરીકે ભરૂચ સબ જેલમાં બંધ હતો. 5 સપ્ટેમ્બરના રોજ તે સાબુ ખાઇ જતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી કાચા કામના બંને કેદીઓ ફરાર થઇ ગયા હતાં. આ ઘટનામાં સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓની ઘોર બેદરકારી જણાય આવી હતી. જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આ.હે.કો તખતસિંહ કાળુસિંહ,  આ.પો.કો પ્રવિણસિંહ મહોતસિંહ,  લોકરક્ષક જોતેન્દ્રકુમાર હિતેન્દ્રભાઇ અને જગદીશભાઇ રમેશભાઇને સસ્પેન્ડ કરી દીધાં છે. બનાવ સંદર્ભમાં આ.હે.કો  તખતસિંહ કાળુસિંહે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

Tags:    

Similar News