ભરૂચના પારખેત ગામે ગૌવંશ વધના ગુનામાં 7 વિરૂધ્ધ ફરિયાદ, એકની અટકાયત

Update: 2018-12-17 12:05 GMT

ફરિયાદમાં દર્શાવેલા અન્ય 6 લોકો ફરાર થઈ જતાં પોલીસે અટકાયતની તજવીજ હાથ ધરી.

ભરૂચ તાલુકાના પારખેત ગામમાં લગ્ન પ્રસંગે ગૌવંશની કતલનો મામલો સામે આવ્યો હતો. આ અંગે પોલીસે સાત ઇસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના પારખેત ગામમાં ઇનાયત દાઉદ સરપંચના ઘરે લગ્ન પ્રસંગે કતલ કરેલ ગૌમાંસ ઈનાયત દાઉદ સરપંચના ઘરે મોકલવાનું હોવાની બાતમીના આધારે પોલીસ કાફલાએ પારખેત ગામે રેઇડ કરી હતી. ઘટના સ્થળેથી ગૌવંશનો માંસ તેમજ લાકડાના ગોળાકાર ટુકડા સાથે સલાઉદ્દીન ઉમરશા દિવાન રહે. પારખેત પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

પોલીસની પુછપરછ દરમિયાન સલાઉદ્દીને ઇનાયત દાઉદ સરપંચના ઘરે લગ્ન પ્રસંગ હોઇ ઇનાયત ભાઈએ જ અમને એક વાછરડો કતલ કરવા માટે આપેલો હોવાનું કબૂલાત કરી હતી. પાલેજ પોલીસે એફ એસ એલ ટીમને જાણ કરતા એફ એસ એલ ની ટીમે પારખેત ગામે પહોંચી પ્લાસ્ટિકના પાથરણા ઉપર ચોંટેલા માંસના ટુકડા તેમજ છૂટાછવાયા વાળના ટુકડાનું પરિક્ષણ કરતા તમામ અવશેષો ગૌમાંસનો હોવાનું ફલિત થયુ હતુ.

જે સંદર્ભે પાલેજ પોલીસ મથકમાં સલાઉદ્દીન ઉમરશા દિવાન રૂસ્તમ મહમદ મોઢી, મીનહાજ ગોદર, મુસ્તાક અહમદ પથ્થરીયા, શૌકત પ્રેમજી,મકબુલ દાઉદ ઇસ્માઇલ તથા ઇનાયત દાઉદ સરપંચ તમામ રહેવાસી પારખેત તા. જિ. ભરૂચ નાઓ વિરૂધ્ધ પ્રાણી ક્રુરતા અધિનિયમ તેમજ પશુ ઘાતકીપણા એક્ટ હેઠળ પાલેજ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. જ્યારે પોલીસે સલાઉદ્દીન ઉમરશા દિવાનની અટકાયત કરી હતી. ગૌવંશની હત્યાના અન્ય છ ફરાર આરોપીઓને પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Similar News