અંકલેશ્વર : કરારવેલ ગામે ગેરકાયદેસર માટી ખનન થતાં તંત્રના દરોડા, માટી ભરેલ 5 હાઈવા મળી રૂ. 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે માટી ખનન ચાલી રહ્યું છે

Update: 2023-06-16 12:53 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામમાં ચાલી રહેલ ગેરકાયદેસર માટી ખનન ઉપર તંત્ર દ્વારા દરોડા પાડી સ્થળ પરથી માટી ભરેલ 5 હાઈવા મળી કુલ રૂપિયા 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે માટી ખનન ચાલી રહ્યું છે, ત્યારે અંકલેશ્વર મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારીને માહિતી મળી હતી કે, કરારવેલ ગામની સીમમાં ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું છે. જેના પગલે મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે આકસ્મિક દરોડા કરતા ભુમાફીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં અધિકારીઓએ માટી ભરી આવતી 5 હાઈવા ટ્રકને અટકાવી ચાલકો પાસે રોયલ્ટી પાસ માંગતા તેઓ પાસે નહી હોવાનું જણાવ્યું હતું. જેથી અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતા માટી ખોદકામ માટે કોઇપણ જાતની પરવાનગી લીધી ન હોવાનું સામે આવતા સાદી માટીનું વહન કરતા 5 હાઈવા ટ્રક મળી રૂપિયા 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News