ભરૂચ : નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા "નર્મદા મૈયા" બ્રિજનું લોકાર્પણ

ભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો

Update: 2021-07-12 14:13 GMT

ભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. નવો બ્રિજ શરૂ થતાંની સાથે હજારો વાહનચાલકોને ગોલ્ડનબ્રિજ પર સર્જાતા ટ્રાફિકજામમાંથી મુકિત મળી છે....

ભરૂચ અને અંકલેશ્વરને જોડવામાં છેલ્લા 140 વર્ષ ઉપરાંતથી ગોલ્ડનબ્રિજનો વાહનચાલકો ઉપયોગ કરતાં હતાં. વાહનોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહયો હોવાના કારણે ગોલ્ડનબ્રિજ પર વાહનોનું ભારણ વધી ગયું હતું અને દરરોજ ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હતી. આ સમસ્યાનો હલ લાવવા માટે ગોલ્ડન બ્રિજને સમાંતર નવો બ્રિજ મંજુર કરવામાં આવ્યો હતો. છ વર્ષ બાદ બ્રિજનું નિર્માણ કાર્ય સંપન્ન થતાં સોમવારે અષાઢી બીજના દિવસે બ્રિજને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજના નિર્માણ પાછળ 430 કરોડ રૂપિયા ઉપરાંતનો ખર્ચ થયો છે. ભરૂચની પોલીટેકનીક કોલેજના પટાંગણમાં લોકાર્પણ સમારંભ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે બ્રિજના લોકાર્પણની ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી.

રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના મહેમાનો અને નાગરિકો લોકાર્પણ સમારંભમાં હાજર રહયાં હતાં. નર્મદા મૈયા બ્રિજ ફોરલેન બ્રિજ છે અને ભરૂચના સ્થાનિક વાહનચાલકો માટે અલગ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે બ્રિજ ઉપરાંત 200 કરોડ રૂપિયાના અન્ય વિકાસકામો ભરૂચવાસીઓને સમર્પિત કરાયાં હતાં. ભરૂચ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરતાં નર્મદા મૈયા બ્રિજની પણ મહાનુભવોએ મુલાકાત લીધી હતી.

Tags:    

Similar News