ભરૂચ : એમિકસ સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ, વાલીઓના આક્ષેપ સામે શિક્ષણ વિભાગ એક્શનમાં..!
એમિકસ સ્કૂલમાં RTE યોજના હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો સાથે શાળા સંચાલકો દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કરતાં ખળભળતા મચી જવા પામ્યો છે.
ભરૂચની એમિકસ સ્કૂલમાં RTE યોજના હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો સાથે શાળા સંચાલકો દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કરતાં ખળભળતા મચી જવા પામ્યો છે.
ગુજરાત સરકારની RTE એડમિશન યોજના અંતર્ગત શાળામાં બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળાએ જવા-આવવા માટે બસની સુવિધા વિનામુલ્યે આપવામાં આવે છે. એટલું જ નહીં, પ્રાઈવેટ સ્કુલમાં RTE એડમિશન અંતર્ગત બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે, ત્યારે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જીલ્લામાં પણ ગુજરાત સરકારની RTE એડમિશન યોજના અંતર્ગત અનેક બાળકોએ વિવિધ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. તેવામાં ભરૂચના લુવારા નજીક આવેલ એમિકસ સ્કૂલમાં RTEના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.
સમગ્ર મામલે વાલીઓના જણાવ્યા અનુસાર, RTE યોજના હેઠળ એડમિશન લેનાર બાળકોને શાળામાં અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે, અને શાળામાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવતી નથી, ત્યારે વાલીઓના આક્ષેપો સામે શાળાના સંચાલક ઉત્પલ શાહે જણાવ્યું હતું કે, દિલ્લી હાઇકોર્ટનો ચુકાદો છે કે, શાળામાં ACનો ખર્ચ વાલીઓએ ઉઠાવવાનો રહેશે. એમિકસ સ્કૂલના કેટલાક વર્ગખંડોમાં AC છે, માટે બાળકોને નોન AC રૂમમાં અલગ બેસાડવામાં આવે છે.
જોકે, એમિકસ શાળાના વલણ સામે વાલીઓમાં રોષ છે. પરંતુ શાળાને વાલીઓની રજૂઆતથી કોઈ ફર્ક પડતો નથી, ત્યારે હવે આ મામલે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે હવે આ મામલે સરકાર દ્વારા કેવા પગલા લેવામાં આવશે, તે હવે જોવું રહ્યું.