ભરૂચ: ઝઘડીયા જીઆઇડીસીમાં એક ખેતરમાં અજાણ્યા ઇસમનો અર્ધ બળેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો,પોલીસે શરૂ કરી તપાસ
ઝઘડીયા તાલુકાના દધેડા ગામના ઉદેસિંગ વસાવા નામના ખેડૂતનું એક ખેતર ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલું છે.
ઝઘડીયા તાલુકાના દધેડા ગામના ઉદેસિંગ વસાવા નામના ખેડૂતનું એક ખેતર ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલું છે. આ ખેતરમાં તુવેરનું વાવેતર કરેલું છે. ગતરોજ તા.૨૧ મીના રોજ રાત્રી દરમિયાન આ ખેતરમાં એક અજાણ્યા પુરુષનો અર્ધ બળેલ હાલતમાં મૃતદેહ પડેલ હોવાનું જણાતા તલોદરાના રહીશ વિઠ્ઠલ વસાવાએ આ અંગે ઝઘડીયા પોલીસમાં જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઇને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ આ ખેતરમાંથી પસાર થતી ભારે દબાણવાળી વીજ લાઇનના થાંભલા ઉપર ભડાકો થયો હતો, અને પોલીસ તપાસ દરમિયાન તેનાથી આ ઇસમનું બળી જવાથી મોત થયુ હશે એમ મનાય છે. જોકે હાલતો આ અજાણ્યા મૃતકની ઓળખ થઇ શકી નથી. અને આ ઇસમ કોણ છે, ક્યાંનો છે અને આ સ્થળે કેમ આવ્યો હતો તે બાબતો પણ હાલ તો રહસ્ય સર્જે છે. ત્યારે મામલાની વધુ તપાસ ઝઘડીયા પોલીસ ચલાવી રહી છે