જુઓ, ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની નારાજગી અંગે AAPના ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું..!
ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા જ જિલ્લાના કોંગીજનોમાં નારાજગી જોવા મળી રહી છે
ભરૂચ લોકસભા બેઠક AAPને ફાળવવાના અહેવાલ સામે આવ્યા
AAPના ચૈતર વસાવાએ કોંગ્રેસના અગ્રણીઓનો માન્યો આભાર
ચૂંટણી લડવાની ઈચ્છા હોવાથી ફૈઝલ પટેલને રહી છે નારાજગી
કોંગ્રેસને સાથે રાખી ભરૂચ લોકસભા બેઠક જીતીશું : ચૈતર વસાવા
રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં હજારો લોકો જોડાઈશું : ચૈતર વસાવા
INDIA ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક પર AAPના ઉમેદવાર તરીકે અરવિંદ કેજરીવાલે ડેડીયાપાડા-AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી, ત્યારે ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા જ જિલ્લાના કોંગીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ, AAPના ઉમેદવાર ચૈતર વસાવાના નામની જાહેરાત થયા બાદ તેઓએ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર જાહેર કરાયેલા AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગેસના નેતા મલિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલનો આભાર માન્યો હતો.
ગઠબંધન અંગે ભાજપ કોંગ્રેસ અને આપની પ્રતિક્રિયા:-
ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની નારાજગી અંગે ચૈતર વસાવાએ જણાવ્યુ હતું કે, તેમને ચૂંટણી લડવાની ઈચ્છા હતી એટલે નારાજગી છે. પરંતુ 1-2 દિવસમાં તેમનો સમય લઈને અમે મળવા જઈશું અને સાથે ભેગા થઈને ચૂંટણી લડીશું. ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ પક્ષને સાથે લઈને ચાલશે અને ભરૂચ લોકસભા બેઠક જીતીને સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. વધુમાં ચૈતર વસાવાએ AAPની સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકારોને પણ સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું. સાથે જ રાહુલ ગાંધી સામેના નિવેદન અંગે ચૈતર વસાવાએ ખુલાસો આપતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં હજારો લોકો સાથે જોડાવાની વાત કહી હતી.