ભાવનગર: 102 વર્ષના વયોવૃદ્ધ મહિલાએ કોરોનાને આપી મ્હાત, તબીબો આપ્યું ઝાંસીની રાણીનું બિરુદ

Update: 2021-04-15 12:21 GMT

"ભૂતો ન ભવિષ્યતિ" કહી શકાય તેવી જવલ્લે જ બનતી ઘટનામાં ભાવનગરના ૧૦૨ વર્ષની જૈફ અને વયોવૃદ્ધ ઉંમર ધરાવતા રાણીબેન કોજાણીએ માત્ર ૧૨ દિવસમાં કોરોનાને મ્હાત આપી કોરોના સામેનો જંગ 'રાણી'ની જેમ જીતી લીધો છે.જેનાથી ડોકટરોએ વિદાય આપતી વેળાએ રાણીબેનને ઝાંસીની રાણી કહીને ડિસ્ચાર્જ આપ્યો હતો

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ૧૨ દિવસની કોરોનાની સારવાર બાદ તેમાંથી સાંગોપાંગ બહાર આવ્યા બાદ રાણીબેનને આજે રજા આપવામાં આવી હતી.તેમનો કોરોના સામેનો આ જંગ એક લડાઈ થી સહેજ પણ કંઇ કમ ન હતો અને છતાં તેમણે આ જંગ જીતી લીધો છે.  જીવન -મરણના સંઘર્ષમાં જીતી રાણીબેન ૧૦૨ વર્ષે પણ અણનમ રહ્યાં છે.આ ૧૨ દિવસમાંથી રાણીબેન ૯ દિવસ  તો ઓક્સિજન પર રહ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી જ તેમને ઓક્સિજન પરથી હટાવવામાં આવ્યા હતા. આમ માત્ર ૧૨ દિવસના ટૂંકાગાળામાં ૧૦૨ વર્ષની વયોવૃદ્ધ અને જૈફ વયે રાણીબેને કોરોનાને હરાવી મેડિકલના ઇતિહાસમાં એક નવી મિશાલ કાયમ કરી છે. તેમણે કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફની તાળીઓના ગડગડાટ વચ્ચે ૧૦૨ વર્ષીય વયોવૃદ્ધ રાણીબેન ઉપસ્થિત સૌ કોઈના આશ્ચર્ય સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે Covid-19 પરના અભ્યાસો પરથી સાબિત થઈ ચૂક્યું છે કે, વયોવૃદ્ધ વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગ વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને વધુ અસર કરે છે અને તેથી જ સમગ્ર વિશ્વમાં આ રોગના કારણે મહત્તમ મૃત્યુ દર દર ૭૦ કે તેથી વધુ વર્ષથી ઉંમરના લોકોનો નોંધાયો છે તેવા સમયે ૧૦૦ વર્ષથી વધુ ઉંમરે કોરોનાને હરાવવો એ ખૂબ જ પડકારજનક અને  લાખોમાંથી શક્ય બનતી એકાદ ઘટના છે.

Similar News