ભાવનગર : તબીબી તપાસ માટે આવેલા દર્દીએ જ કર્યો તબીબ ઉપર જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

Update: 2021-01-30 11:58 GMT

ભાવનગર જિલ્લામાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે ગત મોડી રાત્રે શહેરમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સર તખ્તસિંહજી હોસ્પીટલના તબીબ ઉપર કેટલાક લોકોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. સમગ્ર મામલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પીટલમાં ગત ગુરૂવારની મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં 3 શખ્સો કાનના દુઃખાવા માટેની તપાસ કરાવવા માટે હોસ્પિટલ ખાતે આવ્યા હતા, ત્યારે રાત્રિના ફરજ દરમ્યાન હોસ્પિટલમાં હાજર સિક્યુરિટી ગાર્ડને તબીબને મળવાનું છે તેમ કહ્યું હતું. તે દરમ્યાન સિક્યુરિટી ગાર્ડ તબીબને જાણ કરવા જતા હતા, ત્યારે આ ત્રણેય અજાણ્યા શખ્સોએ પણ તેની પાછળ જઇ તબીબના રૂમનો દરવાજો ધક્કો મારીને તોડી નાખ્યો હતો. જોકે બિનધિકૃત રીતે રૂમમાં પ્રવેશ કરી તબીબ તથા સિક્યુરિટી ગાર્ડ ઉપર ત્રણેય શખ્સોએ છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઉપરાંત અપશબ્દો બોલી તબીબ સાથે ઝપાઝપી પણ કરી હતી. તેમ છતાં પણ તબીબે દર્દીની તપાસ કરતાં દર્દીએ નશો કર્યો હોય તેવું માયાળું પડ્યું હતું. જેના કારણે તબીબે વ્યવસ્થિત રીતે દર્દીને તપાસ કરવા સવારે ઓપીડીમાં આવવા માટે જણાવ્યું હતું. જેથી વધુ ઉશ્કેરાઇ જઈ ત્રણેય શખ્સોએ તબીબને મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સો હોસ્પિટલમાંથી જતા રહ્યા હતા. જોકે હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, ત્યારે આ મામલે પોલીસે તબીબની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News