"સંકષ્ટ ચતુર્થી" : ગણેશ પુરાણ પ્રમાણે સૌભાગ્ય, સમૃદ્ધિ અનેસંતાનની કામના માટે કરવામાં આવતું ચોથ વ્રત

માગશર મહિનામાં આવતી સંકટ ચોથને અખુરથ સંકષ્ટ ચતુર્થી પણ કહેવામાં આવે છે.

Update: 2021-12-21 07:21 GMT

માગશર મહિનામાં આવતી સંકટ ચોથને અખુરથ સંકષ્ટ ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ ચોથ તા. 22 ડિસેમ્બર, બુધવારના રોજ હોવાથી સંકટને હરનાર થાય છે, ત્યારે સંકષ્ટ ચતુર્થીના દિવસે અનેક દેવાલયોમાં ભક્તો દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરશે.

સંકષ્ટી સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલ શબ્દ છે. જેનો અર્થ મુશ્કેલ સમયથી મુક્તિ મેળવવાનો થાય છે. ભગવાન ગણેશને સમર્પિત આ વ્રતમાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનની મુશ્કેલીઓ અને ખરાબ સમયથી મુક્તિ મેળવવા માટે તેમની પૂજા-અર્ચના અને ઉપવાસ કરે છે. આ દિવસે ભાવિક ભક્તો પોતાના દુઃખોથી છુટકારો મેળવવા દેવાલયોમાં ગણેશજીની આરાધના કરે છે. અનેક જગ્યાએ તેને સંકટ હરનાર પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશનું સાચા મનથી ધ્યાન કરવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને લાભ પ્રાપ્ત થાય છે. ગણેશ પુરાણ પ્રમાણે ચોથના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ઘણી ફળદાયક હોય છે. આ દિવસે ઉપવાસ કરવાનું મહત્વ પણ વધુ હોય છે.

હવે તમને જણાવીશું આ અવસરે કરવામાં આવતી પૂજાવિધિ... સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો અને સાફ કપડા પહેરો. જોકે, બુધવાર હોવાથી આ દિવસે લીલા રંગના કપડા પહેરવા પણ શુભ માનવામાં આવે છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, વ્રત અને પર્વમાં તે દિવસ પ્રમાણે કપડા પહેરવાથી વ્રત સફળ થઈ જાય છે. સાથે જ સ્નાન કર્યા પછી ગણેશજીની પૂજા શરૂ કરો અને ગણેશજીની મૂર્તિને ફૂલથી સજાવો. પૂજામાં તલ, ગોળ, લાડવા, ફૂલ, તાંબાના કળશમાં પાણી, ધૂપ, ચંદન, પ્રસાદ તરીકે કેળા કે નારિયેળ રાખો. જોકે, સંકટ ચોથના દિવસે ભગવાન ગણપતિને તલના લાડવા અને મોદકનો ભોગ પણ ધરાવવામાં આવે છે. ત્યારબાદ સાંજના સમયે ગણેશજીની પૂજા સાથે સંકટ વ્રત કથાનો પાઠ કરો. ગણેશ પુરાણ પ્રમાણે સૌભાગ્ય, સમૃદ્ધિ અને સંતાનની કામના સંકષ્ટ ચતુર્થી ચોથ વ્રત દ્વારા પૂર્ણ થાય છે.

Tags:    

Similar News