જૂનાગઢ : કેશોદમાં એક્ટિવા સવાર મહિલા પર ક્રેઈનનું ટાયર ફરી વળતાં મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત

મહિલા પર ક્રેઈનના તોતિંગ વ્હીલ ફરી વળ્યાં હતાં. મૃતક મહિલાના પરિવારમાં પતિ અને એક 17 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

Update: 2023-07-14 13:57 GMT

કેશોદના સોંદરડા ગામમાં રહેતાં રત્નકલાકાર મહિલા પ્રવીણાબેન અશ્વિનભાઈ વાજા ગુરુવારે કેશોદથી પોતાના ગામ સોંદરડા એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે જ કેશોદ પોસ્ટ ઓફિસ નજીક ક્રેઈનના ચાલકે અડફેટે લેતા પ્રવીણાબહેન પડી ગયાં હતાં અને ક્રેઈનના તોતિંગ વ્હીલ તેના પર ફરી વળતાં પ્રવીણાબહેનનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. કેશોદમાં બનેલી જીવલેણ અકસ્માતની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

જેમાં જોઈ શકાય છે કે, રસ્તાની એક બાજુ રખડતા ઢોરનો અડિંગો છે અને બીજી તરફ અડધા રસ્તા સુધી વાહનો પાર્ક થયેલાં જોવા મળી રહ્યાં છે. તેની વચ્ચેથી પસાર થઈ રહેલી એક ક્રેઈનના ચાલકે બાજુમાં જઈ રહેલા એક્ટિવા સવાર મહિલાને ટક્કર મારતા પડી ગયા હતા અને તુરંત જ મહિલા પર ક્રેઈનના તોતિંગ વ્હીલ ફરી વળ્યાં હતાં. મૃતક મહિલાના પરિવારમાં પતિ અને એક 17 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અકસ્માત સર્જનાર ક્રેઈનના ચાલક સામે હરેશભાઈ મોહનભાઈ વાજા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News