ખુલ્લા પગે ચાલવાથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી બીમારી રહેશે દૂર, થાય છે આટલા ફાયદા

Update: 2021-08-19 06:00 GMT

જૂના જમાનામાં લોકો પગરખા વગર ચાલતા હતા. પરંતુ સમય જતાં જૂતા અને ચપ્પલ પહેરવાનું ચલણ સામાન્ય બની ગયું છે. સામાન્ય રીતે ફૂટવેરનો ઉપયોગ ચાલતી વખતે ગંદકી અથવા ઈજાને ટાળવા માટે થવો જોઈએ. જો તમે ઘાસના મેદાન અથવા ચોખ્ખી જમીન પર ચાલતા હોવ તો તેની જરૂર નથી. ખુલ્લા પગે ચાલવાથી ઘણા શારીરિક ફાયદા થઈ શકે છે.

આપણા શરીરની મોટાભાગની સમસ્યાનું મૂળ આપણી જીવનશૈલી છે. બેઠાડુ જીવન અને આહાર પદ્ધતિમાં બેદરકારીના કારણે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને પેટની બીમારીઓ ઉભી થાય છે. આ ઉપરાંત ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. આખો દિવસ એક જ સ્થળે બેસી રહેવાથી પગમાં સોજો આવી શકે છે અને શરીરમાં રક્તનો પ્રવાહ પણ ખોરવાય છે. જેથી ચાલવું ખૂબ જ જરૂરી છે.

આખો દિવસ તમે તમારા પગમાં પગરખાં અથવા ચંપલ પહેરી રાખો છો. આવી સ્થિતિમાં ખુલ્લા પગે ચાલવાથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને રક્ત પરિભ્રમણ વધુ સારું થાય છે. જે થાક અથવા દુ:ખાવો દૂર કરે છે. તેમજ ઘૂંટણના દુ:ખાવાનો અનુભવ કરતા ડાયાબિટીસના દર્દીઓને દુઃખાવામાં રાહત થાય છે. ચાલવાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં આવે છે.

ખુલ્લા પગે ચાલવાથી એનર્જી લેવલમાં વધારો થાય છે. આ સાથે સ્ટ્રેસ, સાંધાનો દુ:ખાવો, ઊંઘ ન આવવી, કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ, આર્થરાઈટીસ, અસ્થમા, ઓસ્ટીયોપોરોસિસની સમસ્યાઓ પણ દૂર થાય છે તેમજ હાડકા નબળા પડી ગયા હોય તેવા કિસ્સામાં પણ ચાલવું ફાયદો કરાવી શકે છે. સતત ચાલવાથી હાડકામાં કેલ્શિયમ વધે છે.

ઉઘાડા પગે ચાલતી વખતે તમારા અંગૂઠાનો નીચેનો ભાગ પૃથ્વી સાથે સીધો સંપર્કમાં આવે છે. જેના એક્યુપ્રેશરના કારણે શરીરના બધા ભાગોની કસરત થાય છે અને ઘણા રોગોથી છુટકારો મેળવે છે. ચાલતી વખતે પડતા દબાણને કારણે આંખો હંમેશા ફિટ રહે છે અને તેની રોશની પણ સારી રહે છે.

ચાલવું શરીરની નર્વસ સિસ્ટમ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. પગરખાં પહેરીને ચાલવાથી જે સ્નાયુઓ સક્રિય નથી હોતા તે તમામ સ્નાયુઓ ખુલ્લા પગે ચાલવાથી સક્રિય થાય છે. જેના કારણે બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

Tags:    

Similar News