મહારાષ્ટ્ર : ચંદ્રપુરમાં બલ્હારશાહ રેલ્વે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બલ્હારશાહ રેલ્વે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થતાં રવિવારે (27 નવેમ્બર) એક મોટી દુર્ઘટના થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનામાં લગભગ 10-15 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના દરમિયાન ઘણા મુસાફરો લગભગ 60 ફૂટની ઊંચાઈથી પુલ પરથી ટ્રેક પર પડ્યા હતા. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માત રવિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ થયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે દુર્ઘટના સમયે ઘણા મુસાફરો ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ ફૂટઓવર બ્રિજ પ્લેટફોર્મ એક અને બેને જોડે છે.