વડાપ્રધાનના હસ્તે કુલ રૂપિયા 362.73 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે
જૂનાગઢમાં વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલાં ગાંધીચોકમાં દેખાવ કરવા આવતાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નટુભાઈ પોકિયા, શહેર પ્રમુખ વિનુભાઈ અમીપરા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિત 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે જૂનાગઢ પધારી રહ્યાં છે,તેમનાં હસ્તે મનપાનાં ટાઉન હોલ, સાબલપુર પાસે પુલ, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, એગ્રો પ્રોસેસિંગ બિલ્ડિંગ સહિતનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 138 પોલીસ જવાન દુરબીનથી સુરક્ષા ઉપર નજર રાખશે અને 111 વોકીટોકીથી પોલીસ જવાનો સંપર્કમાં રહેશે.
નરેન્દ્રભાઇનાં હસ્તે કુલ રૂપિયા 362.73 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. જૂનાગઢમાં વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર સજજ થઇ ગયું છે. કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.જૂનાગઢનાં માર્ગો પર પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે.