ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીનો આવરો ઘટી જવાથી ડેમના તમામ દરવાજા બંધ કરી દેવાયાં છે. ગત રવિવારના રોજ ડેમના દરવાજા ખોલી લાખો કયુસેક પાણી છોડાતાં નર્મદા નદીમાં પુર આવ્યું હતું.
મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમની સપાટી 131 મીટર સુધી પહોંચી ગઇ હતી. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમના 23 દરવાજા ખોલી લાખો કયુસેક પાણી છોડવામાં આવતાં નર્મદા નદીમાં પુર આવ્યું હતું. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 35 ફુટ સુધી પહોંચી ગઇ હતી. એક સપ્તાહ બાદ સરદાર સરોવરમાં આવતાં પાણીના આવરામાં ઘટાડો થયો છે તેમજ સર્વોચ્ચ અદાલતે ડેમને તેની પુર્ણ સપાટી સુધી ભરવાની પરવાનગી આપી છે. આવા સંજોગોમાં ડેમના તમામ દરવાજા બંધ કરી દેવાયાં છે. ડેમમાંથી પાણી આવતું નહિ હોવાથી હાલ નર્મદા નદીની સપાટી પણ ભયજનક સપાટી કરતાં નીચી આવી ચુકી છે. હાલ ઉપરવાસમાંથી ડેમમાં 94 હજાર કયુસેક પાણી આવી રહયું છે જેની સપો 33 હજાર કયુસેક પાણીની જાવક થઇ રહી છે. ડેમની સપાટી 135.70 નોંધાય છે. નર્મદા ડેમની પુર્ણ સપાટી 138.60 મીટર છે. હાલ નર્મદા ડેમ 97 ટકા જેટલો ભરાયેલો હોવાથી આગામી ઉનાળામાં સિંચાઇ તેમજ પીવાના પાણીની સમસ્યા નહિ નડે.