રાજકોટ-ઉપલેટાના વૃદ્ધ વૃક્ષો માટે બન્યા દાદા, જુઓ પર્યાવરણના જતન માટે શું કરી રહ્યા છે કાર્ય

Update: 2021-01-20 07:03 GMT

આજકાલ પ્રકૃતિપ્રેમીઓ બહુ ઓછા જોવા મળે છે ત્યારે રાજકોટમાં ઉપલેટાના આવા જ એક પ્રકૃતિપ્રેમી વૃદ્ધ છે જેઓ વૃક્ષોની પોતાના દિકારાની જેમ માવજત કરી રહ્યા છે.

હાલ સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિગની ખુબ જ અસર જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિગ સામે લડવા અને તેનાથી બચવા વૃક્ષો એક માત્ર ઉપાય છે. ત્યારે આ ઉપાય માટે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના એક વૃદ્ધ છે કે જેઓ છેલ્લા 20 વર્ષથી કરે છે વૃક્ષોનું જતન અને વાવે છે નવા નવા અનેક વૃક્ષો. પ્રખ્યાત એવું સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર જ્યાં આવેલું એ જ ઢાંક ગામમાં રહે છે. આ વૃદ્ધ દાદા અને આ વૃદ્ધ દાદાનું નામ છે નારણભાઈ ગજેરા જેને ગામના સૌ કોઈ લોકો નારણબાપાથી ઓળખે છે.

આ દાદાની ઉમર હાલ ૮૫ વર્ષની છે અને તેઓ ઢાંક ગામથી અન્ય ગામ તરફ જતા માર્ગો પર વૃક્ષો વાવે છે અને તેમનું કાયમી જતન કરે છે એ પણ કોઈની મદદ વગર. આ દાદા કોઈ ટેકનોલોજી કે કોઈ યંત્રોનો પણ ઉપયોગ નથી કરતાં અને બસ નીકળી પડે છે પોતાની રેકડી લઈને વૃક્ષોની માવજત કરવા. રસ્તાઓની આસપાસ જે વૃક્ષો હોય છે તેમને નજીકના તળાવ, નદી તેમજ અન્ય જગ્યાએથી પાણી ભરી લાવે છે અને વૃક્ષોમાં સિંચે છે. આ અંગે નારણ ગજેરાએ જણાવ્યુ હતું કે નિશ્વાર્થ ભાવે સેવા કરવાના આશયથી તેઓ દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે.

પ્રકૃતિ પ્રેમી વૃધ્ધની આ સેવાને ગ્રામજનો પણ બિરદાવી રહ્યા છે. 20 -20 વર્ષથી તેઓ ગામની આસપાસ આવેલ વૃક્ષોની માવજત કરી હરિયાળું વાતાવરણ બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે જે બદલ ગામના આગેવાનો પણ તેઓના આ કાર્યની સરાહના કરી રહ્યા છે.

સમગ્ર વિશ્વ આજે પ્રાણ ઘાતક પર્યાવરણીય પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગની ઠેર ઠેર સાર જોવા મળી રહી છે ત્યારે આ વૃધ્ધના કાર્યથી અન્ય લોકો પણ પ્રેરણા લે અને પર્યાવરણના જતન માટે પ્રયત્નશીલ થાય એ જરૂરી છે.

Tags:    

Similar News