અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં કાર્યાવન્તિ પ્લેનેટોરિયમ ખગોળશાસ્ત્રી વૈજ્ઞાનિકો ઉભા કરવાનું પ્રથમ સોપાન બનશે
ગુજરાત રાજ્યમાં એક માત્ર શાળાકક્ષાનું આ સંકુલ ખગોળપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે અવકાશીય ઘટનાઓની જાણકારી માટેનું ઉત્તમ માધ્યમ પુરવાર થશે.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સંસ્કારદીપ વિદ્યાલયમાં સુભશ્રી પિગમેન્ટ્સ પ્રા.લી.કંપનીનાં આર્થિક સહયોગથી કાર્યાવન્તિ બનેલ પ્લેનેટોરિયમ ભલે નાનકડું સંકુલ છે. પરંતુ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીએ તો ભવિષ્યમાં ખગોળશાસ્ત્રી વૈજ્ઞાનિકો ઉભા કરવાની દિશામાં પ્રથમ સોપાન સ્વરૂપ બની રહેશે તેમાં લગીરેય અતિશયોક્તિ નથી.
અંકલેશ્વરનાં ઉદ્યોગ અગ્રણી એન.કે.નાવડીયાનાં ફળદ્રુપ મસ્તિષ્ક માંથી જે નવતર આવિષ્કાર ઉદ્ભવ્યો તે પૈકી એક આ પ્લેનેટોરિયમ છે. વર્તમાન તેમજ ભાવી પેઢીનાં વિદ્યાર્થીઓ ખગોળ વિજ્ઞાનનાં ગૂઢ રહસ્યો ને સમજી શકે અને આવનાર દાયકામાં જયારે વૈશ્વિક સ્તરે સ્પેસ ટેક્નોલોજી અને સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ તરફનો ઝુકાવ વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે શાળા સંકુલમાં આકાર પામેલ આ પ્લેનેટોરિયમ અસરકારક પુરવાર થશે તેમાં કોઈ જ બેમત નથી.
અંકલેશ્વરને છોડો સમગ્ર ગુજરાતમાં શાળાકક્ષાએ અલાયદુ પ્લેનેટોરિયમ ઉભું કરાયું છે. તે સ્વયં આવકાર દાયક બીના ગણી શકાય. આ પ્લેનેટોરિયમનાં નિર્માણ અર્થે અંકલેશ્વર જીઆઇડીસીની સુભશ્રી પિગમેન્ટ્સ પ્રા.લી.નાં એમડી કે.શ્રીવત્સને 25 લાખ જેટલી માતબર રકમનું અનુદાન આપ્યુ છે.
તારીખ 27મી સપ્ટેમ્બરે આ પ્લેનેટોરિયમનું ઉદ્દઘાટન થયું અને મોટે ભાગે દિવાળી વેકેશન બાદ આ પ્લેનેટોરિયમ જિલ્લાનાં વિદ્યાર્થીઓ તેમજ ખગોળ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
સંસ્કારદીપ વિદ્યાલયનાં ટ્રસ્ટ્રી હિતેન આણંદપુરા તેમજ કેમ્પસ ડાયરેક્ટર સુધાબેન વડગામ આ પ્રોજેક્ટ વધુ લોક ભાગ્ય બની રહે તે માટે સતત ચિંતન કરી રહ્યા છે. ભવિષ્યમાં અંકલેશ્વર પંથકને પર્યાવરણ ક્ષેત્રે વિકાસ સંભવશે ત્યારે આ પ્લેનેટોરિયમ પર્યટકો માટે અચૂક જેવા લાયક કેન્દ્ર બની રહેશે તેવું માની શકાય.