ગોંડલ : મોવિયા-શ્રીનાથગઢ રોડ પર એક્ટિવા ઝાડ સાથે અથડાતા 2 યુવાનના ઘટના સ્થળે મોત

Update: 2019-07-08 08:19 GMT

અકસ્માત માટે કુખ્યાત બનેલા મોવિયા શ્રીનાથગઢ રોડ પર સાંજના સુમારે એક્ટિવા પર જઈ રહેલ બે યુવાનોનું સ્કૂટર ઝાડ સાથે અથડાતા બંનેના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

પ્રાપ્ત માહિતિ અનુસાર ગોંડલ મોવિયા રોડ પર જાણે યમરાજાએ ડેરા તંબુ તાણીયા હોય તેમ છેલ્લા એક માસમાં જ અકસ્માતોની વણઝાર સર્જાઇ છે,ત્યારે આજે વધુ એક અકસ્માતમાં બે શ્રમિક યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

મૂળ રાજસ્થાનના અને થોડા સમયથી મોવિયા ગામ પાસે આવેલ દાવત બેવરેજીસ ફેક્ટરીમાં મજુરી કામ કરતા દુલારામ મોટારામ જાટ ઉ. ૧૯ તેમજ ઓમપ્રકાશ ઘેરારામ માઈલ ઉ. ૧૮ એકટીવા સ્કૂટર પર પસાર થઇ રહ્યા હતા, ત્યારે મોવિયા શ્રીનાથગઢ રોડ પર ઝાડ સાથે એક્ટીવા અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બંને યુવાનોના મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ રોડ પર અકસ્માતોની વણઝાર સર્જાઇ છે. થોડા દિવસ પહેલા એક વેરના કાર પલ્ટી મારી જતા બે આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા હતા. તે પહેલા હીરો હોન્ડા મોટર સાયકલ ઝાડ સાથે અથડાતા ગોંડલના જ ભગવતપરાના યુવાનોના મોત નિપજ્યા હતા. ગોંડલ મોવિયા શ્રીનાથગઢ રોડ નવો બન્યા બાદ વાહનો પુરપાટ ઝડપે દોડતા હોય એ ઉપરાંત તંત્ર દ્વારા પણ કોઈ અકસ્માત સંભવિત ક્ષેત્રના નોટિસબોર્ડ મારવામાં આવ્યા ન હોવાથી વારંવાર અકસ્માત સર્જાયા કરે છે, ત્યારે તંત્ર દ્વારા આ રોડ પર નોટિસબોર્ડ મૂકી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

 

Similar News