ભરૂચ નગર પાલિકા દ્વારા 427 જેટલા મકાન ધારકોને જર્જરિત મકાનોને સુરક્ષિત ઉતારી લેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.
ભરૂચ નગર પાલિકાએ વરસાદી મોસમમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે જુના ભરૂચ વિસ્તારમાં જર્જરિત મિલ્કતો સંદર્ભે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 427 જેટલા મકાનો ભયજનક હોવાનું જાણવા મળ્યુ હતુ, તેથી નગર પાલિકાએ જોખમી મિલ્કતોને ઉતારી લેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે જે જર્જરિત મિલ્કતોનું સમારકામ થઇ શકે તેવી મિલ્કત ધારકોને વહેલી તકે સમારકામ કરવા અંગેની સુચના આપવામાં આવી છે.
આ અંગે નગર પાલિકાના મુખ્યઅધિકારી સંજય સોનીએ જણાવ્યુ હતુ કે જુના ભરૂચમાં ખાસ સર્વે કરીને જર્જરિત 427 જેટલી મિલ્કતોને નોટિસ ફટકારી છે, અને ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખીને અત્યંત જોખમી મિલ્કતો ઉતારી લેવાની કામગીરી આગામી સમયમાં નગર પાલિકા દ્વારા કરવામાં આવશે.