· જીવનની બધી જ સમસ્યાનો ઉકેલ માત્ર શિક્ષણ છેઃ આદિજાતિ
વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા
વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત બારોલીયા પ્રાથમિક શાળાનો શતાબ્દિ મહોત્સવ
આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો
હતો. બારોલીયા પ્રા.શાળાની સ્થાપના ૧૯૧૯માં કરવામાં આવી હતી, જેના ર૦૧૯માં ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શાળા પરિવાર દ્વારા આજે તેની ભવ્ય ઉજવણી
કરવામાં આવી રહી છે.
આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, આ શાળામાં અભ્યાસ કરી સારી જગ્યાએ કામગીરી બજાવનારાઓ, શાળા માટે જમીન આપનાર દાતા, શાળામાં
ફરજ બજાવી ગયેલા શિક્ષકો અભિનંદનને પાત્ર છે. બારોલીયા માટે યાદગાર અને ઐતિહાસિક
દિવસ બની રહેશે. શાળાના શતાબ્દિ મહોત્સવ ઉજવણી માટે ગામના લોકોમાં અનેરો ઉત્સાહ
જાવા મળ્યો છે, જે
ગામની એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
મંત્રીએ શિક્ષણનું જીવનમાં મહત્ત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, જીવનની બધી જ સમસ્યાનો ઉકેલ માત્ર શિક્ષણ છે, શિક્ષણ વિનાનું બાળક પાંખ વિનાનું પંખી છે. શિક્ષણના
કારણે માણસના જીવનમાં અમૂલ્ય પરિવર્તન આવે છે. ત્રણ વિદ્યાર્થીઓથી શરૂ કરેલી શાળા
આજે અઢીસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. ઘરનું ઘરેણું દીકરી તેમ ગામનું
ઘરેણું એટલે ગામની શાળા છે, ત્યારે
ગામની ધરોહર એવી શાળાઓની સાચવણી કરવી એ ગામના સૌની જવાબદારી બને છે. રાજ્ય સરકાર
શિક્ષણ ક્ષેત્રે તેમજ આદિવાસીઓના કાર્યક્રમોને અગ્રીમતા આપી આદિજાતિ ક્ષેત્રના
વિકાસ માટે વિશેષ બજેટની ફાળવણી કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રાથમિક
શિક્ષણને મહત્ત્વ આપી ગ્રામ્ય વિસ્તારોમાં જાતે જઇ શાળા પ્રવેશ મહોત્સવ થકી
બાળકોને શાળામાં પ્રવેશ અપાવતા હતા. જેના થકી આજે રાજ્યમાં શિક્ષણનું સ્તર ખૂબ જ
ઊંચું આવ્યું છે, ડ્રોપ
આઉટ રેશિયો ૩૦ ટકા થી ૨ ટકાએ પહોîચ્યો છે. આદિજાતિના બાળકોને પ્રોત્સાહન આપવાના કારણે
તેમના માટે અનામત રાખેલી મેડીકલ ક્ષેત્રની પણ તમામ બેઠકો ભરાઇ જાય છે. વિદેશ જવા
માટે, પાયલોટ બનવા માટે સહાય આપવામાં આવે છે. આદિજાતિના
વિદ્યાર્થીઓ સારૂં શિક્ષણ મેળવી શકે તે માટે એકલવ્ય શાળાઓ શરૂ કરી છે, જેના થકી આદિજાતિની દીકરીઓ શિક્ષણ મેળવી આગળ વધી રહી છે. બિરસા મુંડા ટ્રાયબલ
યુનિવર્સિટી રાજપીપળામાં ચાલુ કરવામાં આવી છે. આદિજાતિના બાળકો કુપોષિત ન રહે તે
માટે બાળકોને દૂધ આપવામાં આવે છે. આદિજાતિના અનેક ખેડૂતોને જંગલની જમીન તેમના નામે
કરી સનદો આપવામાં આવી છે. મા અમૃતમ યોજના તેમજ આયુષ્માન ભારત યોજના ગરીબ પરિવારોને
બિમારીના ખર્ચ સામે પહોંચી વળવા માટે આશીર્વારૂપ બની છે. આવનારા દિવસોમાં અનેક
વિકાસકાર્યો કરવાનું આયોજન આ સરકારે કર્યું છે, ત્યારે
ગ્રામજનોને પોતાના ઘર આંગણે સરકારની સેવાઓ મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમ શરૂ
કર્યા છે. આદિજાતિ સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા માટે કોઇપણ બાળક શિક્ષણથી
વંચિત ન રહે તે માટે ગામના વડીલો અને અગ્રણીઓ કાળજી રાખે તે જરૂરી છે.
આ અવસરે સાંસદ ડૉ.કે.સી.પટેલ, ધરમપુર
ધારાસભ્ય અરવિંદ પટેલ, ધારાસભ્ય
કનુ દેસાઇ, પૂર્વ
જિ.પં. પ્રમુખ મીના ચૌધરી તેમજ ડૉ.રમણ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતાં. શાળાના
વિદ્યાર્થીનીઓ કુ.કિંજલ ચૌધરી, કુ.સેજલ
પટેલ, કુ.ધર્મિષ્ઠા માહલાએ પ્રેરક બાળ પ્રવચન કર્યા હતાં.
આ અવસરે યુપીએલ. દ્વારા સીએસઆર હેઠળ બનાવવામાં આવનાર સ્કૂલ સેનિટેશન પ્રોજેકટ-
ટોઇલેટ બ્લોકનું ખાતમુહૂર્ત તેમજ શાળાના નિવૃત્ત શિક્ષકો અને ભૂતપૂર્વ
વિદ્યાર્થીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. પ્રોજેકટ હેડ રાકેશભાઇએ
સેનિટેશન પ્રોગ્રામ અંગેની જાણકારી આપી હતી.
બારોલીયા સરપંચ ગણેશ બિરારીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ગામના વિકાસની રૂપરેખા
આપી હતી. આ અવસરે શાળાના નિવૃત્ત શિક્ષકો, શાળામાં
અભ્યાસ કરી ઉત્તુંગ સફળતાના શિખરો સર કર્યા છે, તેવા
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું
હતું. શાળાના બાળકોએ રંગારંગ અને મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિતોને
મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ
મણિલાલ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરત પટેલ, જિલ્લા
કલેક્ટર સી.આર.ખરસાણ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિર્મળા જાદવ, જિલ્લા
પ્રાથમિક શિક્ષણાધિકારી વાય.એચ.પટેલ, પ્રાયોજના વહીવટદાર વસાવા, એસ.એમ.સી.ના
સભ્યો, શાળાના આચાર્ય જિજ્ઞેશ ટેલર, શાળા
પરિવાર, શાળાના બાળકો, માતા-પિતા, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.