૨૪મીએ નવા CBI ડાયરેક્ટરની પસંદગી, PM મોદીના નેતૃત્વમાં સિલેકશન કમિટીની બેઠક

Update: 2019-01-16 16:40 GMT

CBIના નવા ડાયરેક્ટરની પસંદગીને લઇને સેલેક્શન પેનલની બેઠક 24 જાન્યુઆરીએ થનાર છે. આ પેનલનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જેમાં ચીફ જસ્ટિસ અને લોકસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેશે. CBI વડા આલોક વર્માની હકાલપટ્ટી પછી સંસ્થાના વડાનો કામચલાઉ કાર્યભાળ એમ નાગેશ્વર રાવને સોંપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય બાબત છે કે, એક દિવસ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને CBI વડા આલોક વર્માને હકાલપટ્ટી સાથે જોડાયેલ મહત્વપૂર્ણ દસ્તાવેજો જાહેર કરવા અને નવા વડાની નિમણૂક કરવા માટે સિલેક્શન સમિતિની તાત્કાલિક બેઠક બોલાવવાની માગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, આ મામલે સરકારના પગલા સંકેત આપી રહ્યા છે કે, સરકાર નથી ઇચ્છતી કે, CBI એક સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરે. આ પહેલા ખડગેએ 10મી જાન્યુઆરીએ CBIના પૂર્વ વડા આલોક વર્માની હકાલપટ્ટી સામે વિરોધ નોંધાવ્યો હતો.

સીબીઆઈ ડાયરેક્ટરના રિટાયર થવાના એક મહિના પહેલાતી તેમના ઉત્તરાધિકારીની શોધખોળ શરૂ કરવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો, મુખ્ય સતર્કતા કમિશ્નર (CVC)એ 10 અધિકારીઓની એક પેનલ તૈયાર કરી છે, જેમાં 1983, 1984, 1985 બેચના અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ યાદીમાં નીરા મિત્રા સિવાય ઉત્તર પ્રદેશ કેડરના 1983 રાજીવ રાય ભટનાગરનું નામ પણ સામેલ છે. ભટનાગર હાલના સમયે સીઆરપીએફના જનરલ ડાયરેક્ટર છે. ઉત્તર પ્રદેશ કેડરના 1984 બેચના અધિકારી રજનીકાંત મિશ્રા પણ સીવીસીની લિસ્ટમાં સ્થાન બનાવવામાં સફળ થયા છે. મિશ્રા હાલ બીએસએફના જનરલ ડાયરેક્ટરની જવાબદારી સંભાળી રહ્યા છે. 1984 બેચના અસમ-મેઘાલય કેડરના વાઇસી મોદીનું નામ પણ સીબીઆઈ ડાયરેક્ટરની લિસ્ટમાં સામેલ છે.

સૂત્રોનું માનીએ તો સીબીઆઈ ડાયરેક્ટર માટે છેલ્લો નિર્ણય રીના મિત્રા અને વાઇસી મોદીની વચ્ચે થઇ શકે છે. મોદી વડાપ્રધાન કેમ્પના અધિકારી માનવામાં આવે છે. તેના સિવાય તેમને સીબીઆઈમાં 10 વર્ષ કામ કર્યાનો અનુભવ છે. વાઇસી મોદી 2002માં ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ટીમમાં સામેલ હતા, પરંતુ 1984 બેચના હોવાથી તેમને કમજોર કડી માનવામાં આવી રહી છે.

Similar News