અંકલેશ્વર : કમોસમી વરસાદના કારણે રવિ પાકની સીઝન લંબાઇ, ખેડૂતોની વધી મુશ્કેલી
ગુજરાતીમાં કહેવત છે જે પોષતુ તે મારતું અને ચાલુ વર્ષે
ખેડૂતો માટે આ કહેવત સાચી પડી હોય તેમ લાગી રહયું છે. આ વર્ષે ચોમાસાની સીઝન લાંબી
ખેંચાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે. ખેતરોમાં પાણી હોવાથી રવિ પાકોની
વાવણીમાં વિલંબ થઇ રહયો છે.
અંકલેશ્વર પંથકમાં વરસેલ કમોસમી વરસાદના કારણે રવિ પાકની સીઝન લંબાઈ જવાના કારણે ખેડૂતો પાક નિષ્ફળ જવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. ચાલુ વર્ષે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વરસાદ વરસ્યો હતો. અવિરત વરસાદના કારણે ઘણા ખેતરોમાં હજી વરસાદી પાણી ભરાયેલાં છે. ખેતરોમાં પાણી હોવાથી રવિ પાકનું વાવેતર થઇ શકતું નથી. એક તરફ કમોસમી વરસાદે કપાસ અને શાકભાજીના પાકનો દાટ વાળી દીધો છે તેવામાં રવિ પાકોનું વાવેતર ન થવાની બાબતે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ખેતરમાં વરાપની સ્થિતિ પેદા ન થતા ઓક્ટોબર બાદ નવેમ્બર માસમાં પણ રવિ પાકોની વાવણી થઇ શકી નથી. રવિ પાકની સીઝન મોડી થતા હવે કેટલો અને કેવો પાક પાકશે એની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.