અફવાઓથી રહો સાવધાન, હવાના માધ્યમથી નથી ફેલાતો કોરોના વાઇરસ : WHO
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો
છે. ત્યારે દુનિયાભરમાં લોકોને સામાજિક અંતર રાખવાનું કહેવામાં આવી રહ્યું છે,
જેને પગલે ઘણા દેશોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. કોરોના વાઇરસથી
કેવી રીતે બચવું તે અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે, પરંતુ
આવા સમયે ઇન્ટરનેટ માધ્યમથી અનેક અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે. આવી એક અફવામાની
એક અફવા એ છે કે કોરોના વાયરસ હવા દ્વારા પ્રસારિત થાય છે, જેને
વિશ્વ આરોગ્ય સંસ્થાએ સંપૂર્ણ પણે નકારી કાઢ્યું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ ફક્ત ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. તેમણે કહ્યું છે કે કોરોના વાયરસનો ચેપ હવામાં ફેલાતો નથી, કારણ કે તે ફક્ત થૂંકના નાના-નાના કણો દ્વારા ફેલાય છે. આ કણો ખાંસી, છીંક અને વાતો કરતી વખતે શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ થૂકના કણો હવા જેટલા હલકા નથી આથી હવામાં નથી જતાં તે જમીન પર નીચે પડી જાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિના એક મીટરની અંદર ઉભો રહે છે, તો આ કોરોના વાયરસ શ્વાસના માધ્યમથી શરીરમાં પ્રવેશી શકે છે. જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિના થૂંકાયેલા કણો કોઈ સપાટી પર પડ્યા હોય અને કોઈ બીજી વ્યક્તિના હાથ આ સપાટીને સ્પર્શ થયા બાદ તેના આંખ, નાક અથવા મોંને કોઈ કારણ સર સ્પર્શ કરે છે, તો હાથના માધ્યમથી આ વાયરસ તેના શરીરમાં પ્રવેશી શકે છે. આવા કિસ્સામાં, સતત હાથ ધોતા રહેવું જરૂરી છે.