ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકના નહાર ગામ નજીક મારુતિ વાન પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકના નહાર ગામ નજીક મારુતિ વાનને અકસ્માત નડ્યો હતો. દહેગામના રહેવાસીની મારૂતિ વાન પલટી મારી જતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ મારુતિ વાન રોડની બાજુમાં આવેલ ખાડી વિસ્તારમાં ફસડાઈ પડી હતી. આ અકસ્માતમાં મારુતિ વાનમાં સવાર દહેગામના 19 વર્ષીય યુવક ફરીદ સાદિકને માથાના ભાગે ઇજા પહોચી હતી. જોકે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, આકસ્મિક મોતની ઘટનાના પગલે દહેગામમાં પણ શોકની લાગણી પ્રસરી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલક ફરીદ સાદિક પોતાની મારુતિ વાન લઈને ગામડાઓમાં ફેરીનો ધંધો કરવા નીકળ્યો હતો. આ દરમિયાન, કોઈ કારણોસર તેણે વાનના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે વાન રોડ પર પલટી મારી ગઈ હતી.
