ભરૂચ : કોરોનાના વધતાં જતાં પોઝિટિવ કેસ “લાલબત્તી” સમાન, વધુ 9 કેસ આવતા દર્દીઓની સંખ્યા 114 થઈ
ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં કોરોના વાયરસના વધુ પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના પ્રથમ પોઝિટિવ કેસ એપ્રિલ મહિનામાં મળી આવ્યા હતા. સરકારે એપ્રિલ મહિનાથી લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવતાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા પર નિયંત્રણ આવ્યું હતું. જોકે 2 મહિના સુધી ચાલેલા લોકડાઉન દરમ્યાન કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 50 જેટલી રહી હતી. તો, હવે ભરૂચ જીલ્લામાં અનલોક-1 થતાની સાથે જ લોકો બિન્દાસ્તપણે ઘરની બહાર નીકળ્યા છે. જનજીવનની ગાડી પાટા પર લાવવી જરૂરી છે, પરંતુ તેની સાથે લોકોએ કાળજી રાખવી પણ અત્યંત જરૂરી છે. ભરૂચમાં હાલ બહારગામ જઇને આવેલાં અથવા બહારગામના લોકોના સંપર્કમાં આવેલા લોકોમાં વધુ સંક્રમણ જોવા મળી રહયું છે. તેવામાં ગુરુવારના ભરૂચ જિલ્લામાંથી કોરોના વાયરસના વધુ 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 114 સુધી પહોચી જવા પામી છે. જોકે દિવસમાં સરેરાશ 9 જેટલા કેસ સામે આવતા વહીવટી તંત્ર સહિત લોકો ભારે ચિંતામાં મુકાયા છે.