Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નશાની હાલતમાં ધૂત બનેલા કાર ચાલકે કાર મકાનની દીવાલમાં ઘુસાડી, પોલીસે કરી નશેબાજની અટકાયત...

અંકલેશ્વર શહેરમાં નશાની હાલતમાં ધૂત બનેલા કાર ચાલકે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પૂરઝડપે વાહન હંકારતા દુર્ઘટના સર્જાય હતી

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નશાની હાલતમાં ધૂત બનેલા કાર ચાલકે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પૂરઝડપે વાહન હંકારતા દુર્ઘટના સર્જાય હતી. જેમાં બેકાબુ બનેલી કાર મકાનના કમ્પાઉન્ડ વોલની દીવાલ તોડી ઘરમાં ઘુસી હતી. બનાવના પગલે એ’ ડિવિઝન પોલીસે કાર ચાલકની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નશાની હાલતમાં ધૂત બનેલા કાર ચાલકનું કારસ્તાન સામે આવ્યું છે. કાર ચાલકે નશામાં કાર ગફલતભરી રીતે હંકારતા અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ મકાન નં. 499ની કમ્પાઉન્ડ વોલની દીવાલ તોડી પાડી હતી. બનાવના પગલે આસપાસના સ્થાનિકોના ટોળાં ભેગા થઈ ગયા હતા, જ્યાં લોકોએ GJ-16-DG-9929 નંબરની કારમાં જોતાં અંદર દારૂ ભરેલો ગ્લાસ પણ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા દારૂના નશામાં ધૂત બનેલો ઈસમ કોસમડી વિસ્તારની સાઈ દર્શન રેસિડેન્સીમાં રહેતો મહેન્દ્રસિંગ રાજાવત હોવાનું સામે આવ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ મોટી નાનહાની નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, ત્યારે હાલ તો અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસે અકસ્માતગ્રસ્ત કાર જપ્ત કરવા સાથે નશેબાજ ઈસમની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story