અંકલેશ્વર : ગડખોલ-સારંગપુર ગ્રામ પંચાયતના વિવાદમાં લોકો અટવાયા, રહેણાંક-શાળા વિસ્તારમાં ફર્યું ગટરનું પાણી...
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાના જ વિસ્તારોને ગંદકીના સામ્રાજ્યથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર સારંગપુર હદ વિસ્તારની સોનમ સોસાયટી સહિત નાલંદા વિદ્યાલયમાં ગટરના ગંદા પાણી ફરી વળતાં વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ અને સારંગપુર ગ્રામ પંચાયતના આંતરિક વિવાદના કારણે ગટરનું પાણી નજીકમાં આવેલી સોનમ સોસાયટી અને નાલંદા હાઇસ્કુલમાં પ્રવેશતા લોકોમાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા સભ્યો માટે રોષ જોવા મળી રહ્યો છે.
ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકો સાથે નાલંદા સ્કૂલમાં અભ્યાસ કરતા 1200થી વધુ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમ મંડરાઈ રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર સ્વચ્છતા અને શિક્ષણની મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે તેમની જ પાંખો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાના જ વિસ્તારોને ગંદકીના સામ્રાજ્યથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે.
ગટરના ગંદા પાણી સોસાયટી અને સ્કૂલમાં પ્રવેશતા હાલ તો સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. જેથી તેમના ભણતર પર અસર વર્તાય રહી છે. તો બીજી તરફ, સ્થાનિકોના સ્વાસ્થ્યને પણ જોખમમાં મુકવાવાળું કાર્ય વિસ્તારના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતા ચૂંટાયેલા સભ્યો સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.