Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કાંકરિયા ધર્માંતરણ કેસના વધુ 4 મુખ્ય આરોપીની ધરપકડ કરાઇ, આરોપીઓનો આંક 14 ઉપર પહોંચ્યો

આમોદના કાંકરિયામાં વસતા હિંદુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાનો પર્દાફાશ થયો હતો .

X

ભરૂચના આમોદના કાંકરિયામાં વસતા હિંદુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાનો પર્દાફાશ થયો હતો . ધર્માંતરણ માટે વિદેશથી આવેલા ફંડનો પણ દુરુપયોગ થયાનો ખુલાસો થયો છે. અગાઉ પોલીસે આ મામલે એક મૌલવી સહિત કુલ 9 થી 10 લોકોની ધરપકડ કરી હતી ત્યારે પોલીસે ફરાર વધુ 4 મુખ્ય આરોપીને ઝડપી લીધા છે.

દેશમાં ગેરકાયદેસર રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાયદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરવામાં ઉપયોગનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામેથી થયો છે. ત્યાં 37 આદિવાસી પરિવારના 100 થી વધુ લોકોનું લોભ લાલચ આપી હિન્દુમાંથી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવ્યું હતું. હિન્દુ આદિવાસી લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાનતાનો લાભ લઈ ધર્માંતરણ કરાયું હોવાનો ખુલાસો થયો છે.

ભરૂચ જિલ્લાના કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ વિદેશમાંથી આર્થિક સહાય મેળવી હિન્દુઓને મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરતા હતા. કાંકરીયા ગામના જાગૃત નાગરિકની ફરિયાદ આધારે હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમાં સહાય કરતા મુસ્લિમ કટ્ટરવાદી 10 લોકોની સિન્ડિકેટ વિરુદ્ધ ધરપકડ પણ કરવામાં આવી હતી જે બાદ આજરોજ આ તપાસ આગળ વધતા અબ્દુલ સમદ મહમદ દાઉદ પટેલ ( બેકરી વાલા ), શાબીર ઉર્ફે શબ્બીર મહમદ દાઉદ પટેલ ( બેકરી વાલા ), હસન ઇસા ઈબ્રાહીમ પટેલ ( ટીસી ), ઇસ્માઇલ યાકુબ મુસા પટેલ ( ડેલાવાલા )ની પણ ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા એસપી લીના પાટીલ જણાવ્યા અનુસાર આરોપીઓએ પૈસા ,કપડાં ,દવા અને કામ સહિતની લાલચ આપી ધર્માંતરણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેઓની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા ભરૂચ પોલીસે તજવીજ હાથ ધરી છે. પૂછપરછમાં વધુ નામ પણ સામે આવે તેવી સંભાવના છે.

Next Story