/connect-gujarat/media/post_banners/35f34b3b88e59b6068296e9fdf6e8193041731202e9d7bbbd3d292bb8722d19c.jpg)
ભરૂચના મકતમપુર ગામની સીમમાં 52 ગામ આદીવાસી સમાજના સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારતના નિર્માણ સાથે વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય જેથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. આ મામલે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આદીવાસી સમાજે આવેદન પત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભરૂચ જિલ્લાના 52 ગામના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર કચેરી ખાતે પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, કસક-મક્તમપુર ગામની સીમ ખાતે સર્વે નં 11 ઉપર 52 ગામ આદિવાસી સમાજનું સ્મશાન અસ્તિત્વમાં છે. આ સ્મશાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના 52 જેટલાં ગામડાઓના આદિવાસી પરિવારો તેમના સ્વજનોની અંતિમ ક્રિયા આ જ સ્મશાન ગૃહમાં કરે છે. પરંતુ છેલ્લા કેટલા દિવસોથી સ્મશાનની બાજુમાં આવેલા જમીનમાં કોઈ બિલ્ડર દ્વારા JCB મશીનથી જમીન લેવલિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે, જ્યાં ભવિષ્યમાં મોટી હાઈ રાઈઝ બિલ્ડીંગ બાંધવાનું કામ શરૂ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.
જોકે, ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવર-જવર માટે બીજો કોઈ માર્ગ હાલ ઉપલબ્ધ નથી. જેથી બિલ્ડર દ્વારા આદિવાસી સ્મશાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું છે. જેથી બિલ્ડર દ્વારા જે રસ્તાની માંગણી કરવામાં આવી છે, ત્યાં આદિવાસી પરિવારના સ્વજનોની સમાધિ હાલમાં અસ્તિત્વમાં છે, અને બિલ્ડર આ સમાધિ દૂર કરી રસ્તો મેળવવાની સ્પષ્ટ મનસામાં હોય તેમ લાગી રહ્યું છે. જેથી બિલ્ડર દ્વારા આવી કોઈ અરજ કોઈ કચેરીએ થઈ હોય તો તેની પરવાનગી મંજૂર કરવામાં ન આવે અને જો પરવાનગી આપી હોય તો તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.