ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના તળાવ નજીકથી મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ તળાવમાં મગર હોવાની સરપંચ અજય સોલંકી દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં લેખિત જાણ કરવામાં આવી હતી. ગતરોજ રાત્રીના સમયે ગામ તળાવ કિનારે મગર બહાર દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જંબુસર વન વિભાગને મગર તળાવ કિનારે બહાર દેખાયા હોવાની જાણ કરવામાં આવી હતી.
જે અંતર્ગત જંબુસર વન વિભાગની ટીમ ઉચ્છદ ગામે પહોંચી મગરનું રેસ્ક્યુ કર્યું હતું. જોકે, રેસ્ક્યુ કરી ઝડપી પાડેલ મગરને પાંજરે પુરવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ જંબુસર રેન્જ ઓફિસ ખાતે મગરની ડોક્ટરી તપાસ કરાવી તેને સુરક્ષિત સ્થળે છોડવા વન વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી