-
પ્રયાગરાજમાં છવાયું ગુજરાત ટુરિઝમ પેવેલિયન
-
મહાકુંભમાં શ્રદ્ધાળુઓ થયા આકર્ષિત
-
ગુજરાતની ઓળખસમા ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ
-
કનેક્ટ ગુજરાતને પ્રવાસીઓએ વર્ણવી ટુરિઝમની ખાસિયત
-
પ્રવાસીઓએ ગુજરાતને જાણવા માટે કર્યો પ્રયાસ
પ્રયાગરાજમાં મહાકુંભમાં ઉમટતા જનસેલાબ માટે ઉત્તરપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા સુચારૂ વ્યવસ્થાતંત્રની ગોઠવણ કરવામાં આવી છે,જેમાં ખાસ કરીને ગુજરાત ટુરિઝમ પેવેલિયન દ્વારા પણ રાજ્યની ઓળખ સમા વિવિધ સ્થળોના ટેબ્લોની પ્રદર્શનની કરવામાં આવી છે,જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.પ્રવાસીઓ દ્વારા કનેક્ટ ગુજરાતની ટીમ સાથે ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી.
ઉત્તરપ્રદેશના તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભ તેના મધ્યાહને પહોંચ્યો છે,અને દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ ગંગાજીમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે.ત્યારે શ્રદ્ધાના આ અવિસ્મરણીય અવસરમાં ગુજરાત ટુરિઝમ દ્વારા પણ ગુજરાતની ઓળખને ઉજાગર કરતા પેવેલિયનમાં ટેબ્લોની સુંદર પ્રદર્શની બનાવવામાં આવી છે.જેમાં દ્વારકા મંદિર,સોમનાથ મહાદેવ મંદિર,કચ્છનું સફેદ રણ,એશિયાટિક સિંહનું ગીર અભ્યારણ,તરણેતરનો મેળો,મોઢેરાનું સૂર્ય મંદિર,સ્ટેચ્યુ ઓફ યુનિટી,નર્મદા ડેમ,સાબરમતી આશ્રમ સહિતના પ્રવાસન સ્થળોની ઝાંખીની પ્રદર્શની મુકવામાં આવી છે.
પ્રયાગરાજમાં મહાકુંભમાં ઉમટી રહેલા જનસેલાબ માટે ગુજરાત ટુરિઝમ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ગુજરાત ટુરિઝમના ઇન્ચાર્જ સાગર અરોડાએ આ અંગે કનેક્ટ ગુજરાતને રસપ્રદ માહિતી આપી હતી,અને ગુજરાત ઉપરાંત દેશ વિદેશના પ્રવાસીઓ ગુજરાત ટુરિઝમ પેવેલિયનની મુલાકાત લઈને વિવિધ પ્રવાસન સ્થળોને જાણવા અને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
જ્યારે ગુજરાત ટુરિઝમ પેવેલિયનની મુલાકાત લેતા પ્રવાસીઓએ કે જે ગુજરાત આવ્યા નથી તેવા પ્રવાસીઓએ પણ વિવિધ કલાકૃતિ નિહાળીને ગુજરાતને જાણવાનો પ્રયાસ કર્યો હતો.તેમજ ગુજરાતના પ્રવાસીઓ માટે પ્રયાગરાજમાં ગુજરાત ટુરિઝમ માદરે વતન સમાન બની ગયું હતું.આ પ્રસંગે કનેક્ટ ગુજરાતના સંવાદદાતા યોગેશ પારિકે ગુજરાત ટુરિઝમના ઇન્ચાર્જ સાગર અરોડા અને પ્રવાસીઓ સાથે વિશેષ વાતચીત કરી હતી,જેમાં પ્રવાસીઓએ પણ ગુજરાત ટુરિઝમની વ્યવસ્થાને બિરદાવી હતી.