Connect Gujarat
Featured

અમદાવાદ : રાજયમાં હવે જમીન પર ગેરકાયદે કબજો નહી કરી શકાય, જુઓ સરકાર કયો નવો કાયદો લાવી

અમદાવાદ : રાજયમાં હવે જમીન પર ગેરકાયદે કબજો નહી કરી શકાય, જુઓ સરકાર કયો નવો કાયદો લાવી
X

રાજયમાં ગુંડાઓ સામે લગામ કસતા કાયદા બાદ હવે સરકારે ભુમાફીયાઓ સામે લાલ આંખ કરી છે. બુધવારના રોજથી રાજયમાં લેન્ડ ગ્રેબિંગ એકટની અમલવારી શરુ કરી દેવામાં આવી છે. આ કાયદા અંતર્ગત હવે જમીનો પર ગેરકાયદેસર રીતે કરી લેવાતાં કબજાની પ્રવૃતિ ઉપર રોક આવશે…..

સાંપ્રત સમયમાં વસતી વધારાની સાથે રહેણાંક તથા વ્યવસાયિક બાંધકામો વધી રહયાં છે. બાંધકામો વધી રહયાં હોવાના કારણે જમીન પર ગેરકાયદે કબજો, જમીન પચાવી પાડવી સહિતના કૃત્યો વધ્યાં છે. જમીનની તકરારમાં અનેક વ્યકતિઓ અત્યાર સુધીમાં જીવ પણ ગુમાવી ચુકી છે. આવા બનાવો રોકવાની દિશામાં પહેલ કરતાં ગુજરાત સરકાર લેન્ડ ગ્રેબિંગ એકટ લાવી છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાયદા અંગે જાહેરાત કરી હતી. નવા કાયદા બાદ હવે ભુમાફિયાઓ સામે ગાળિયો મજબુત બનશે. હવે કોઇની પણ જમીન પર ગેરકાયદે કબજો કરી શકાશે નહી.

સરકારે આ માટે 7 અધિકારીઓની કમિટી બનાવી છે. જમીન પર ગેરકાયદે કબજો થયો હોય તેવા વ્યકતિઓએ કલેકટર કચેરીમાં ફરિયાદ કરવાની રહેશે. કાયદમાં કરાયેલી જોગવાઇ મુજબ દર 15 દિવસે મિટીંગમાં કાર્યવાહીની સમીક્ષા કરાશે અને અરજીઓનો 21 દિવસમાં નિકાલ કરાશે. છ મહિનામાં કેસોનો નિકાલ થઇ શકે તે માટે વિશેષ કોર્ટની સ્થાપના કરવામાં આવશે. જમીન ઉપર ગેરકાયદેસર કબજો સાબિત થશે તો આરોપીને ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષની સજા થઇ શકે છે. આ કાયદા અંતર્ગત સજા બિનજામીન પાત્ર રહેશે. સરકારે લીધેલા પગલાંના કારણે રાજયના ખેડુતો તથા અન્ય જમીનધારકોને રક્ષણ અને લાભ મળશે..

Next Story