ગુજરાત : કોરોનાએ ફરી માથું ઊચકતા 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની મુદ્દતમાં કરાયો વધારો
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચારેય મહાનગરોમાં વધતા જતાં કોરોના સંક્રમણને લઈ કર્ફ્યુની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરાયો છે.
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. નેતાઓએ ચૂંટણી પ્રચારના નામે જે નિયમોનો દાટ વાળ્યો હોવાથી કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વકર્યું છે. જેના કારણે રોજના 400ને પાર કેસ પહોંચી ગયા, ત્યારે આ જ કારણે હવે ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ તા. 1લી માર્ચથી વધુ 15 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉંચકતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાત્રી કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની મુદ્દત તા. 28 ફેબ્રુઆરીના પૂર્ણ થતી હતી. તે પહેલા જ રાત્રી કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 15 માર્ચ સુધી રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. આ સાથે જ કોરોના સંક્રમણ પર અંકુશ મેળવવા રાજ્યમાં સર્વેલંસ સઘન બનાવાશે. આ ઉપરાંત ફરી એકવાર ધનવંતરી રથ શરૂ કરવા, બોર્ડર એરિયામાં સ્ક્રીનીંગની કામગીરી કરવા તેમજ વેક્સિનેશનની પ્રક્રિયાને પણ વધુ ઝડપી બનાવવા અંગે અંગે પણ સૂચન કરાયું છે.