/connect-gujarat/media/post_banners/f660c8da912d165856b4c152fa38abc9f88b8f6199bf47dd423a0f4e61162153.jpg)
અમદાવાદ શહેર તથા જીલ્લાની 21 બેઠકો પૈકી 14 બેઠકો પરથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાનું નામાંકન રજુ કર્યું હતું, ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફક્ત અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરની નારણપુરા બેઠક પર ભાજપે જિતેન્દ્ર પટેલને ટિકિટ આપી છે, ત્યારે આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી કૌશિક પટેલ સહીત સમર્થકોની હાજરીમાં તેઓ ફોર્મ ભરવા પહોચ્યા હતા. ફોર્મ ભરતા પહેલા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયથી શક્તિ પ્રદર્શન સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી. નારણપુરા બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પૈતૃક નિવાસસ્થાન પણ છે. આ વિસ્તારને ભાજપનો કમિટેડ વિસ્તાર માનવામાં આવે છે.
શક્તિ પ્રદર્શનમાં સામેલ પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે કનેક્ટ ગુજરાત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મને આનંદ છે કે, અમે ફોર્મ ભરવા સાથે જઈ રહ્યા છીએ. નીતિન પટેલે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, અમદાવાદની તમામ બેઠકો જ નહીં પણ સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાશે. તો પૂર્વ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તાર ભાજપનો ગઢ છે, અને આ વખતે રેકર્ડ બ્રેક જીત ભાજપની થશે. આ સાથે જ ભાજપે અનેક વરિષ્ઠ નેતાઓને પણ વિવિધ બેઠકોની જવાબદારી આપી છે.