ભાવનગર : બાળકોની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાં શિશુવિહાર સંસ્થા દ્વારા સર્વાંગી તાલીમનું આયોજન...
બાળકોને પોતાનું સ્વતંત્ર અને આગવું વ્યક્તિત્વ હોય છે. એટલાં માટે તો બાળકને બધું જ પોતાની જાતે કરવું છે.
બાળકોને પોતાનું સ્વતંત્ર અને આગવું વ્યક્તિત્વ હોય છે. એટલાં માટે તો બાળકને બધું જ પોતાની જાતે કરવું છે. જાતે કામ કરીને બાળકને પોતે સ્વાવલંબી છે તે પુરવાર કરવું છે. બાલમંદિર હોય કે શાળા હોય કે પછી બાળકના પાલક હોય, દરેક વાલીની પ્રથમ ફરજ છે કે, બાળકોને પૂરતી સ્વાતંત્રતા આપે. બાળક સતત પ્રવૃત્તિશીલ રહે. આવાં વિચારોને પ્રાધાન્ય આપતાં શિશુવિહાર પ્રાંગણમાં સને ૧૯૪૦થી સાતત્યપૂર્ણ રીતે ચાલતાં ગ્રીષ્મ તાલીમ અંતર્ગત વર્ષઃ ૨૦૨૨ની પ્રથમ તાલીમ તા. ૧મે થી ૧૨ દિવસ માટે યોજાઈ રહી છે.
ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન ટ્રસ્ટ, મુંબઇનાં સહયોગથી પ્રતિવર્ષ યોજાતી સર્વાંગી તાલીમમાં ચિત્રકામ , સ્કેટિંગ, સ્કાઉટિંગ, કોમ્પ્યુટર, મહેંદી, બ્યુટીપાર્લર, અંગ્રેજી ગ્રામર, ગ્લાસ પેઇન્ટિંગની વિવિધ પ્રવૃત્તિઓમાં ૯૨ બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે. જીવન શિક્ષણના ભાગરૂપે વેકેશન માટેની બીજી તાલીમ તા. ૧૪ થી ૨૫ મે, ૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. સાથોસાથ બાળકો માટે કબડ્ડી, ખો-ખો પ્રકારની શાંતિપ્રિય ભારતીય રમતોની પણ તાલીમ પણ આપવામાં આવનાર છે. ભાવનગરના વાલીઓ પોતાના બાળકોની શુષુપ્ત કલાને બહાર લાવવાં શિશુવિહારના ઉપક્રમે યોજાતી સર્વાંગી તાલીમમાં મોકલી બાળકોને પ્રોત્સાહિત કરે તે માટે શિશુવિહાર સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.