ભાદરવી પૂનમે અંબાજીમાં સર્જાયો ત્રિવેણી સંગમ
ભક્તિ,ભોજન અને સેવાનો ત્રિવેણી સંગમ
પદયાત્રીઓ માટે વિશેષ સેવાકીય સુવિધાની વ્યવસ્થા
પી.એન.માળી ફાઉન્ડેશને પદયાત્રીઓ માટે સેવાકીય ધૂણી ધખાવી
500થી વધુ સ્વયંસેવકો પદયાત્રીઓની સેવામાં જોડાયા
બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભાદરવી પૂનમનું અનોખું મહત્વ રહ્યું છે,આ પ્રસંગે ભક્તો દૂર દૂરથી પગપાળા આવીને માતાજીના દર્શનનો લ્હાવો લે છે,ત્યારે આ પ્રસંગે ભક્તિ,ભોજન અને સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહી એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે. આ કેમ્પનું સરનામું એટલે "પી.એન. માળી ફાઉન્ડેશન કેમ્પ" વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માઇભક્તોની સેવા કરવામાં આવે છે.આવો જ એક સેવા કેમ્પ પી.એન. માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે પદયાત્રીઓને રહેવાની, સ્નાન, ચા નાસ્તો, ભોજન સહિત 24 કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે.
આ સેવા કેમ્પમાં રોજ 500થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આ કેમ્પમાં 24 કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે. લગભગ સાડા ચાર વિઘામાં નિર્માણ પામેલ આ સેવા કેમ્પમાં દર રોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવ્યા છે. અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે.
સેવા કેમ્પ "પી.એન. માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજસેવી પી.એન.માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે. તેમણે જણાવ્યું હતું કે, માઇભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે ચા - નાસ્તો, રહેવા, જમવા, સુવા, સ્નાન સહિત મેડિકલ અને ગરબા રમવા સહિતની સગવડો આપવામાં આવી છે.