-
રાજ્યમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું
-
ભરૂચમાં આચરાયું મનરેગા કૌભાંડ
-
2 એજન્સીઓ સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
-
રૂ.19.64 લાખનું કૌભાંડ આચરાયું
-
મદદનીશ પ્રયોજના અધિકારીએ નોંધાવી ફરિયાદ
દાહોદના ચચ્ચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ બહાર આવ્યું છે જેનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પિયુષ ઉકાળીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સભાડની મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા મનરેગાના કામો હેઠળ વધારે મટીરીયલ બતાવી ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા. ખોટા બિલના આધારે રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસુલવામાં આવ્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે.
જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 11 ગામોમાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં જરૂરિયાત મુજબનું મટીરીયલ વાપરવામાં આવ્યું ન હતું તેમ છતા વધારે મટીરીયલ બતાવવામાં આવ્યા હતા અને મનરેગા યોજના હેઠળ લોકોને મળતી રોજગારી પણ છીનવી લઈ જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા રૂપિયા રૂ. 6.58 લાખ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.13.5 લાખ સરકાર પાસે લેવામાં આવ્યા હતા.જે ગામોમાં કૌભાંડ આચારવામાં આવ્યું છે તે ગામોના નામ પર નજર કરીએ તો જંબુસર તાલુકાના કીમોજ, વહેલમ અને બોજાદરા. આમોદ તાલુકાના ધમણાદ, પુરુષા, રાણીપુરા અને દાદાપર તેમજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.
બન્ને એજન્સી દ્વારા નિયત માનવશ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને જાતે જ યાંત્રિક મશીનરીથી રોડ રસ્તાના કામો કર્યા હતા જેમાં શ્રમયોગીઓને રોજગારી મળી ન હતી.આ સાથે જ ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે બન્ને એન્ટરપ્રાઇઝના માલિકો સામે ગુનો નોંધી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.