Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાયો, રથયાત્રા અંગે આગામી દિવસોમાં નિર્ણય

કોરોનાની ગાઇડલાઇનનું કરાયું ચુસ્ત પાલન, માત્ર 50 શ્રધ્ધાળુઓની હાજરીમાં નીકળી જળયાત્રા.

X

આજે જેઠ મહિનાની પુનમ... આજના પાવન દિવસે પરણિતાઓએ પતિના દીર્ઘાયુ માટે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું તો બીજી તરફ દેશના વિવિધ મંદિરોમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઇ હતી. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં પણ પ્રભુનો જળાભિષેક કરાયો હતો.

અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે પુનમના પાવન અવસરે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે મર્યાદિત લોકોની હાજરીમાં જળયાત્રાની મંજુરી આપવામાં આવી હતી.મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલાં જેઠ મહિનાની પુનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. આજે પૂનમના દિવસે 108 કળશમાં નદીનું જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યું હતું. બાદમાં ભગવાનનો અભિષેક કરી ભગવાન ગજવેશ ધારણ કર્યો હતો.

જળયાત્રા મંદિરેથી સાબરમતી જમાલપુર પાસે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. પાંચ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યું અને તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભર્યું હતું. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રથયાત્રા અંગે સરકાર બેઠક કરશે અને બેઠકમાં જે નિર્ણય લેવામાં આવશે તે નિર્ણય મંદિરના ટ્રસ્ટ માન્ય રહેશે. આજના શુભ પ્રસંગે મંદિરમાં અમદાવાદ પોલીસની મદદથી વેકસીનેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીની જળયાત્રા સાદાઈથી કાઢવામાં આવી અને પરંપરાને પણ જીવંત રાખવામાં આવી છે.

Next Story