અમરેલી : ધારીના મીઠાપુરમાં લગ્નના બંધનમાં બંધાય ત્યાર પહેલા યુવકની હત્યા,પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

યુવકના લગ્નના એક દિવસ પહેલા ભાવિ પત્નીના એક તરફી પ્રેમીમાં પાગલ  હત્યારાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update
  • લગ્નની શરણાઈના સુર માતમમાં ફેરવાયા

  • યુવતીના એક તરફી પ્રેમીમાં વરરાજાની કરી હત્યા

  • એક તરફી પ્રેમીમાં યુવકને રહેંસી નાખ્યો

  • અગાઉ પણ પ્રેમી યુવકે આપી હતી ધમકી 

  • ઘટનામાં પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામના યુવકના લગ્નના એક દિવસ પહેલા ભાવિ પત્નીના એક તરફી પ્રેમીમાં પાગલ  હત્યારાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.ચકચારી ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

અમરેલીના મીઠાપુરમાં મકવાણા પરિવારના યુવકની લગ્નના આગલા દિવસે હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બીજા કોઈએ નહીં પણ યુવકના જે યુવતી સાથે લગ્ન થવાના હતા,તે યુવતીના એક તરફી પ્રેમીમાં પાગલ યુવકે જ તેના મિત્રની મદદથી હત્યા કરી હતી.આ કેસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.

આ સમગ્ર મામલે ધારી પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. વિશાલના પિતાની ફરિયાદના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં બંને આરોપીઓ શોએબ ઈબ્રાહીમ સમા અને શોયાબી બાબુભાઈ ઝાંખરાને ઝડપી પાડ્યા છે. પોલીસે હાલ આ હત્યાકાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે.

વિશાલ મકવાણાની સગાઇ એક યુવતી સાથે નક્કી થઇ હતી.જેના તારીખ 22-02-2025ના રોજ લગ્ન હતા.પરંતુ વિશાલની મંગેતર સાથે શોએબ નામનો શખ્સ એક તરફી પ્રેમ કરતો હતો.જેથી શોએબને આ લગ્ન મંજૂર ન હતા. અને શોએબે વિશાલને અગાઉ ઇન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકેવિશાલે તેને નજરઅંદાજ કરી હતી.

આ દરમિયાન ગુરુવારે તારીખ 20-02-2025ના સાંજના સમયે શોએબે વિશાલને દલખાણીયાની સીમમાં મળવા બોલાવ્યો હતો. જેથી વિશાલ શોએબને મળવા ગયો હતો. જ્યાં શોએબનો એક મિત્ર પણ હાજર હતો. વિશાલ મળવા જતા સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા શોએબે તિક્ષ્ણ હથિયારોથી વિશાલનું ઢીમ ઢાળી દીધું હતું. શોયેબ અને તેનો મિત્ર ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ વિશાલની હત્યાના સમાચાર મળતા જે ઘરમાં લગ્નની શરણાઈ વાગવાની હતી તે ઘરમાં માતમ છવાઈ ગયો હતો.

હત્યાની ઘટનાને પગલે પોલીસ પણ તાત્કાલિક પહોંચી હતી.લાશને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતક વિશાલના પિતાએ ધારી પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.અને બંને આરોપીને પોલીસે ઝડપી લીધા છે.આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ